પહેલી વખત ‘મન કી બાત’ને આટલી Dislike:યૂટ્યુબ પર 4.5 લાખ વખત ડિસલાઈક કરાયો મોદીનો વીડિયો, શું NEET અને JEE પરીક્ષાને કારણે આવું થયું?
- ભાજપની યૂટ્યુબ ચેનલ પર અપલોડ વીડિયોને 17 લાખથી વધુ વખત જોવામાં આવ્યો, લગભગ 4.5 લાખથી વધુ ડિસલાઈક મળી
- 1 થી 6 સપ્ટેમ્બર વચ્ચે JEE અને 13 સપ્ટેમ્બરે NEET એક્ઝામ, ટ્વિટર પર પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે
રવિવારે મન કી બાત કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થયો હતો અને લગભગ અડધો કલાક ચાલ્યો હતો. ટીવી અને રેડિયો સિવાય મોદીના આ કાર્યક્રમને યૂટ્યુબ પર પણ દેખાડવામાં આવે છે. જેને ભાજપની યૂટ્યુબ ચેનલ સિવાય નરેન્દ્ર મોદી, PMO, PIB અને દૂરદર્શનની ચેનલ પર પણ અપલોડ કરવામાં આવે છે. પરંતુ દરેક ચેનલ પર લાઈકની તુલનામાં ડિસલાઈકની સંખ્યા વધુ હતી.
ભાજપની ચેનલ પર અપલોડ વીડિયો પર 4.5 લાખ ડિસલાઈક
ભાજપની યૂટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને 4.5થી વધુ લોકો ડિસલાઈક કરી ચુક્યા છે. કદાચ આ પહેલી વખત છે જ્યારે આ પ્રોગ્રામના વીડિયો પર આટલી વધુ ડિસલાઈક મળી છે.
ભાજપ સિવાય આ વીડિયોને PMOની યૂટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં આ વીડિયોને 70 હજારથી વધુ વખત ડિસલાઈક મળી છે. સાથે જ વડાપ્રધાન મોદીની યૂટ્યુબ ચેનલ પર અપલોડ મન કી બાત પ્રોગ્રામના વીડિયો પર 1 લાખથી વધુ ડિસલાઈક આવી છે.
ડિસલાઈક ભલે મળી, પણ સૌથી વધુ જોવામાં પણ આવ્યો છે વીડિયો
મોદીના 30 ઓગસ્ટે કરેલી મન કી બાતના વીડિયોને ભલે અત્યાર સુધી સૌથી વધુ ડિસલાઈક મળી હોય, પણ સૌથી વધુ વ્યૂ પણ આ જ વીડિયો પર આવ્યા છે. ભાજપની યૂટ્યુબ ચેનલ પર અપલોડ આ વીડિયોને 17 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આ પહેલા આ વર્ષે માર્ચમાં મોદીએ જ્યારે મન કી બાત કરી હતી, ત્યારે 2.76 લાખથી વધુ વ્યૂ આવ્યા હતા. એ વખતે મોદીએ લોકડાઉન લગાવવા માટે દેશની માફી માંગી હતી. એ વખતે મોદીએ કહ્યું હતું કે, લોકડાઉનથી ગરીબોને હેરાનગતિ થઈ હતી, પરંતુ 130 કરોડ વસ્તી વાળા દેશ પાસે કોરોનાથી બચવાનો કોઈ વિકલ્પ નહોતો.
શું NEET-JEEના કારણે આટલા બધા લોકોએ ડિસલાઈક કર્યો વીડિયો?
વડાપ્રધાન મોદીએ લગભગ અડધા કલાક સુધી મન કી બાત કરી હતી. જેમાં તેમણે આ વખતે સૌથી વધુ આત્મનિર્ભર ભારત પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારતમાં ટોય ઈન્ડસ્ટ્રીએ મહત્વની ભૂમિકા નિભાવવાની છે. મોદીની આ વાત પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું.
રાહુલે પણ નિશાન સાધ્યું હતું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મન કી બાત પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે, NEET-JEEના વિદ્યાર્થી વડાપ્રધાન પરીક્ષા પર ચર્ચા કરશે એવી આશા રાખીને બેઠા હતા, પણ તેમણે તો રમકડાં પર ચર્ચા કરી દીધી.
વડાપ્રધાને રવિવારે 68મી વખત મન કી બાત કાર્યક્રમમાં લોકોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારતમાં ટોય ઈન્ડસ્ટ્રીએ મહત્વની ભૂમિકા નિભાવવાની છે. દુનિયામાં રમકડાં બજાર 7 લાખ કરોડ રૂપિયાનું છે, પણ આમા ભારતની ભાગીદારી ઘણી ઓછી છે. અસહયોગ આંદોલનના વખતે ગાંધીજીએ કહ્યું હતું કે, આ ભારતીયોમાં આત્મવિશ્વાસ વધારવાનું આંદોલન છે. એવી રીતે જ આપણે આત્મનિર્ભર ભારત આંદોલન બનાવવાનું છે.
મોદીના મન કી બાતના કાર્યક્રમ પછીથી ટ્વિટર પર #studentdislikepmmodi પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ હેશટેગ સાથે ઘણા સ્ટુડન્ટ્સ મન કી બાત કાર્યક્રમના વીડિયો પર મળેસી ડિસલાઈક્સના સ્ક્રીનશોર્ટ પણ શેર કરી રહ્યા છે.
જો કે, 1લી સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર વચ્ચે JEE અને 13 સપ્ટેમ્બરે NEETની પરીક્ષા યોજાવાની છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોરોના વાઈરસના વધતા કેસ વચ્ચે પરીક્ષાને ટાળવી જોઈએ પણ સરકારે પરીક્ષાઓને ટાળવાનો ઈન્કાર કરી દીધો છે.