ભારતીય કુશ્તી સંઘ (WFI) અને કુશ્તીબાજો વચ્ચે વિવાદમાં ઓવરસાઇટ કમિટીની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. 1 મહિનાથી પણ ઓછા સમયમાં તપાસ કરી રિપોર્ટ આપવાનો વાયદો કરનારી તપાસ એજન્સીને કોઈ તારણ સુધી પહોંચવામાં 56 દિવસ લાગી ગયા. આજે તપાસ એજન્સી પોતાનો રિપોર્ટ રમત મંત્રાલયને સબ્મિટ કરી દેશે.
જોકે, વિવાદની તપાસ માટે બનાવવામાં આવેલી ઓવરસાઇટ કમિટીની ટાઇમલાઇન 8 માર્ચના રોજ પૂર્ણ થઈ ચૂકી છે. સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (SAI) સાથે જોડાયેલા સૂત્રો મુજબ કમિટી આજે કોઈપણ સમયે રિપોર્ટ રમત મંત્રાલયને સોંપી શકે છે.
સૂત્રો મુજબ, WFI અધ્યક્ષ પર યૌનશોષણના ગંભીર આરોપ લગાવનારા રેસલર્સ કમિટીને તેના પુરાવા નથી આપી શક્યા. ભાસ્કરે આ મુદ્દે કુશ્તીબાજો, તપાસ કમિટીના સભ્યો અને રમત મંત્રાલયના અધિકારીઓ પાસેથી સતત ફોલોઅપ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈપણ ખુલીને વાત કરવા તૈયાર નથી.
પહેલા વાંચો શું છે સમગ્ર મામલો...
જંતર-મંતર પર રેસલર્સનું પ્રદર્શન અને મોટા આરોપ
18 જાન્યુઆરીના રોજ કુશ્તીબાજ વિનશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયાએ દિલ્હીના જંતર-મંતર પર ધરણાં શરૂ કર્યા હતા. આ દરમિયાન વિનશ ફોગાટે રડતા-રડતા આરોપ લગાવ્યા હતા કે, ફેડરેશન અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ અને કોચ નેશનલ કેમ્પમાં મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરે છે. વિનશે વધુમાં જણાવ્યું કે, બૃજભૂષણ ખેલાડીઓનાં હોટેલમાં રોકાતા હતા, જે નિયમો વિરુદ્ધ છે. ટોક્યો ઓલમ્પિકમાં હાર પછી WFIના અધ્યક્ષે મને ખોટો સિક્કો કહ્યું હતું.
સાંસદની સ્પષ્ટતા, આરોપો સાચા ઠર્યા તો ફાંસી પર લટકી જઇશ
આ જ દિવસે ફેડરેશન અધ્યક્ષ બૃજભૂષણ સામે આવ્યા. તેમણે જણાવ્યું કે, કોઈપણ પ્રકારનું ઉત્પીડન નથી થયુ. જો આવું હશે તો હું ફાંસી પર લટકી જઈશ. તેમણે ધરણાંને સ્પોન્સર્ડ ગણાવતા તેની પાછળ હરિયાણા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાનો હાથ છે તેવું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે આ ખેલાડી નેશનલ લેવલ પર પણ રમવા યોગ્ય નથી રહ્યા.
કેન્દ્રીય રમત મંત્રી સાથે વાતચીત, પછી ધરણાં
19 જાન્યુઆરીના રોજ રમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે કુશ્તીબાજોની અંદાજે પોણા ચાર કલાક વાતચીત થઈ. તેમણે કુશ્તી સંઘના અધ્યક્ષના જવાબની રાહ જોવા કહ્યું હતું. કુશ્તીબાજોએ WFI અધ્યક્ષને બરતરફ કરવા કહ્યું હતું. 20 જાન્યુઆરીના રોજ ખેલાડીઓએ મંત્રી સાથે વાતચીત પછી જંતર-મંતર પર ધરણાં શરૂ કર્યા હતાં. અહીંથી આંદોલનકારી ખેલાડીઓએ જાહેરાત કરી હતી કે, તેઓ હવે ન્યાય મળવા સુધી કોઈ કેમ્પ જોઈન નહીં કરે. કોઈ સ્પર્ધામાં પણ ભાગ નહીં લે. હવે તેઓ રમત અને ખેલાડીઓના હક માટે લડાઈ લડશે.
3 તપાસ કમિટી બની
21 જાન્યુઆરીનાં રોજ આંદોલનને આગળ વધતા જોઈ ભારતીય ઓલમ્પિક એસોસિયેશન (IOA)એ તપાસ કમિટીની રચના કરી. તેના અધ્યક્ષ પીટી ઊષાએ કમિટીના અધ્યક્ષ મેરીકોમને બનાવ્યા હતા. 7 સભ્યોની તપાસ કમિટી બનાવી તપાસના આદેશ આપ્યા હતા. આ કમિટીમાં બોક્સર મેરીકોમ, નિશાનેબાજ ડોલા બેનર્જી, બેડમિન્ટન પ્લેયર અલકનંદા અશોક, ફ્રી સ્ટાઇલ કુશ્તીબાજ યોગેશ્વર દત્ત, ભારતીય ભારોત્તોલન મહાસંઘના અધ્યક્ષ સહદેવ યાદવ અને 2 વકીલ સામેલ છે. બાદમાં કુશ્તીબાજોની માગ પર તેમાં ભાજપ નેતા બબીતા ફોગાટ પણ જોડાયા હતા.
આ જ દિવસે અનુરાગ ઠાકુરની કુશ્તીબાજો સાથે મોડી રાત્રે 7 કલાક સુધી થયેલી બેઠકમાં રમત મંત્રાલયે એક ઓવરસાઇડ કમિટી બનાવવાનો નિર્ણય લીધો હતો. તેના અધ્યક્ષ પણ મેરીકોમને બનાવવામાં આવ્યા હતા. તેના સભ્યોમાં ઓલમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત તૃપ્તિ મુરગુંડે, TOPS CEO રાજગોપાલન અને રાધા શ્રીમન સામેલ થયા હતા. બાદમાં તેમાં બબીતા ફોગાટને પણ સામેલ કરાયા હતા.
હવે વાંચો આરોપ લગાવનારા કુશ્તીબાજો અને તેમના પરિવાર સાથે ભાસ્કરની વાતચીત...
સોનમ મલિકના પિતાએ કહ્યું- સત્ય અને અસત્યની જાણકારી નથી, સીનિયર્સના મેસેજ પર ધરણાંમાં ગયા
કુશ્તીબાજો સાથે સમર્થનમાં સાથે બેસેલા હરિયાણાના સોનીપત જિલ્લાના ગામ મદીનાના કુશ્તીબાજ સોનમ મલિકના પિતા રાજેન્દ્ર ઉર્ફે રાજે જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણમાં આખરે શું વાત છે, સત્ય અને અસત્ય શું છે. તેની તેમને કોઈપણ જાણકારી નથી. તેમને જાણકારી નથી કે, ક્યા ખેલાડી સાથે કઈ પ્રકારની ખોટી ઘટના બની છે. તેમણે જણાવ્યું કે, પરંતુ એટલું જરૂર વિશ્વાસ સાથે કહી શકું છું કે, તેમનાં પુત્રી સોનમ સાથે કંઈપણ ખોટું નથી થયું.
તપાસ કમિટીનાં સભ્ય યોગેશ્વર દત્તે કહ્યું- કડક સૂચના અપાઈ, કંઈપણ બોલવાનું નથી
તપાસ કમિટીમાં હરિયાણાના એકમાત્ર સભ્ય યોગેશ્વર દત્તનું કહેવું છે કે, આ કેસમાં બે નિવેદનો નોંધાયા છે. જેમા એક નિવેદન IOA કમિટી સમક્ષ અને બીજું કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા રચાયેલી ટીમ સામે. બંને બાજુથી પક્ષ અને પુરાવા લીધા પછી ટીમ આ રિપોર્ટ ટીમના અધ્યક્ષને સોંપશે.
હવે વાંચો સમગ્ર પ્રયાસોનું નિષ્કર્ષ...
આરોપ લગાવનારા ખેલાડી વાત કરવાનું ટાળી રહ્યા છે. પરિવારને પણ કોઈ જાણકારી નથી. તેઓ બધી વાતો ખેલાડીઓ પર ઢોળી રહ્યાં છે. તેથી સ્પષ્ટ છે કે, આ સમગ્ર બાબત હવે આરોપો જ રહી ગઈ છે, કાર્યવાહી આગળ તરફ નથી વધી રહી. ખેલાડીઓએ છેડતીના આરોપો તો લગાવ્યા છે, પરંતુ પુરાવા નથી આપી શક્યા. આવી સ્થિતિમાં અંદાજો લગાવી શકાય છે કે, તપાસ કમિટી કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં લાગી છે, જેથી ખેલાડીઓનું પણ સન્માન જળવાઈ રહે અને કુશ્તી સંઘના અધ્યક્ષ ઉપર પણ કાર્યવાહી કરવી ન પડે. જોકે, અંતિમ પરિણામ તપાસ કમિટીના રિપોર્ટ પર જ આવશે.
કુશ્તીબાજોના સૂર પણ બદલાયા...
તપાસ કમિટીના રિપોર્ટમાં વિલંબ પર આરોપ લગાવનારા કુશ્તીબાજોના સૂર પણ બદલાયા છે. પહેલાં આક્રમક રીતે કુશ્તી સંઘ અધ્યક્ષને ઘેરી રહેલાં કુશ્તીબાજ વિનશ ફોગાટે લાચારી જાહેર કરી છે. વિનશે જણાવ્યું કે, આ મુશ્કેલીભર્યો સમય છે, કારણકે અમે પ્રક્ટિસ નથી કરી શકતા. જ્યાં સુધી આ લડાઈ અમે જીતી નથી લેતા, ત્યાં સુધી અમે રાહ જોઈશું. પહેલાં અમે આ મેડલ જીતવા ઈચ્છીએ છીએ, તેના પછી અમે કોઈ મોટી મેચ રમીશું.
સાક્ષી મલિકે જણાવ્યું કે, કમિટીએ 10 દિવસનો સમય આપ્યો છે. આશા છે કે, ટૂંક સમયમાં જ નિર્ણય આવે અને અમારી તરફેણમાં આવે, કારણ કે અમે બહુ હિમ્મત કરીને આ પગલું ભર્યું છે. અમે એ જ વિચારીને હિમ્મત કરી છે કે, હવે જે ખેલાડીઓએ કુશ્તીમાં આવી રહ્યા છે, તેમને આ બધુ સહન ના કરવું પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.