ન્યૂઝીલેન્ડની સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાના બે મેઇન પિલ્લર એવા રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમમાં નહિ હોય. ત્યારે ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા હશે. જોકે ન્યૂઝીલેન્ડ સામેની 3 વન-ડે અને 3 T20 મેચની સિરીઝ માટેની ટીમની જાહેરાત કરવામાં આવી નથી. આ ટીમની જાહેરાત નવી સિલેક્શન કમિટી કરશે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં પહેલા વન-ડે સિરીઝ શરૂ થશે, જે 18 જાન્યુઆરીએ રમાશે. તેના પછી 3 મેચની T20 સિરીઝ 27 જાન્યુઆરીથી શરૂ થશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે T20 સિરીઝમાંથી સિનિયર્સ પ્લેયર વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે. સ્પોર્ટ્સની એક વેબસાઇટને BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં 3 મેચની T20 સિરીઝમાં રોહિત અને વિરાટને ટીમમાં લેવા માટે વિચાર કરવામાં નહિ આવે.
મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, રવિંચંદ્ર અશ્વિન જેવા સિનિયર પ્લેયર્સ પહેલાથી જ T20 પ્લાનમાંથી બહાર થઈ ગયા છે.
વન-ડે વર્લ્ડ કપ રહેશે પહેલી પ્રાથમિકતા
આ વર્ષે ભારતમાં જ ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ રમાવવાનો છે. હાલમાં જ BCCIએ રિવ્યૂ મીટિંગમાં વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા હતા. વન-ડે વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને જ અજમાવવાનો પણ નિર્ણય લીધો હતો.
જોકે આ 20 ખેલાડીઓ કોણ છે, તેનું લિસ્ટ બહાર પડ્યું નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત, વિરાટ સહિત શ્રીલંકાની સામે વન-ડે સિરીઝમાં સામેલ ખેલાડીઓ તે લિસ્ટમાં હશે. આ ઉપરાંત કાર એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયેલા રિષભ પંત, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને પણ સામેલ કરવામાં આવશે. રિવ્યૂ મીટિંગમાં સિનિયર પ્લેયર્સને ઈજાથી બચાવવા માટે મહત્ત્વના પગલાં લેવાની પણ વાત કરી હતી.
શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી પણ બહાર છે વિરાટ અને રોહિત
શ્રીલંકાની સામે રમાઈ રહેલી 3 T20 મેચની સિરીઝમાં પણ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે ટીમની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા કરી રહ્યા છે, જ્યારે વાઇસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. આ સિરીઝમાં શુભમન ગિલ, શિવમ માવી અને રાહુલ ત્રિપાઠીને અજમાવવામાં આવ્યા છે. હાલ સિરીઝ 1-1ની બરાબરી પર છે. ત્યારે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે રાજકોટમાં રમાશે.
કોચ રાહુલ દ્રવિડે પણ T20 માટે યુવા ખેલાડીઓને મહત્વ આપવાની વાત પણ કરી છે
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે પણ ગુરુવારે પુણેમાં રમાયેલી બીજી T20 મેચ પછી મીડિયા સાથેની વાતચીતમાં સંકેત આપ્યો છે કે T20માં માત્ર યુવા ખેલાડીઓને જ તક આપવામાં આવશે. 2024માં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા યુવા પ્લેયર્સને તૈયાર કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.