ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભારતના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના ફેન થઈ ગયા છે. તેઓએ કહ્યું હતું કે હું પંતની બેટિંગથી ઘણો પ્રભાવિત થયો છું. તે એક મેચ વિનર છે. તેની સાથે સૌરવ ગાંગુલીએ શાર્દૂલ ઠાકુરની પણ પ્રશંસા કરી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે શાર્દુલ હિંમતવાળો અને ફાઈટર ખેલાડી છે.
વિરાટ અને રોહિતને બેટિંગને જોવાની અલગ મજા
ગાંગુલીએ શનિવારે એક ઓનલાઈન ટ્યૂટોરિઅલ એપ દ્વારા વાતચીત કરી હતી. જે દરમિયાન તેઓએ કહ્યું હતું કે ભારતમાં ઘણા વર્લ્ડ ક્લાસ પ્લેયર્સો છે. બોર્ડનો અધ્યક્ષ હોવાના કારણે હું મારા ફેવરિટ પ્લેયરનું નામ જાહેર ન કરી શકું. પરંતુ ખાસ કરીને મને રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગને જોવામાં ઘણો આનંદ થાય છે.
પંતને દિલ્હીની કમાન સોંપાઈ
ગાંગુલીએ કહ્યું હતું કે પંત એક વર્લ્ડ ક્લાસ મેચ વિનર ખેલાડી છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી બોલિંગમાં સારૂ પ્રદર્શન દાખવી રહ્યા છે. મને શાર્દૂલ પણ પસંદ છે, કારણ કે તેમાં લડવાની સારી એવી ક્ષમતા છે. ભારતમાં ક્રિકેટ ટેલેન્ટની કોઈ કમી નથી.
શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થતાં IPLમાં દિલ્હી ટીમની કમાન હાલ પંતના હાથમાં આપવામાં આવી છે. તેઓ આ સિઝનમાં કોચ રિકી પોન્ટિંગના અંતર્ગત ટીમનું નેતૃત્વ કરશે. ગાંગુલી દિલ્હીની ટીમ મેનેજમેન્ટનો પણ એક ભાગ રહી ચૂક્યા છે. તેઓ દિલ્હી ફ્રન્ચાઈઝના સલાહકાર હતા. 2019માં BCCIના પ્રેસિડન્ટ નિમાયા પૂર્વે ગાંગુલીએ આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ભારત આવનારી તમામ જનરેશનમાં વિશ્વ-વિજેતા બનશે
ગાંગુલીએ કહ્યું હતું કે જ્યારે સુનિલ ગાવસ્કરનો યુગ હતો, ત્યારે તેઓ વિચારતા હતા કે આમના પછી ઈન્ડિયન ક્રિકેટનું શું થશે? ત્યારપછી સચિન તેડુંલકર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે આવ્યા. જ્યારે સિચન અને દ્રવિડે ભારતીય ટીમથી વિદાય લીધી ત્યારે વિરાટ, રોહિત અને પંત આવ્યા. આવી જ રીતે ટીમ આગળ વધતી ગઈ. મને લાગે છે કે ભારત પાસે એટલું ટેલેન્ટ છે કે આવનાર ભવિષ્યમાં તે દરેક જનરેશનને હરાવી શકે તેવી ટીમ બનશે.
'1992માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે મને ઘણુંબધું શિખવાડ્યું'
ગાંગુલીએ 1992માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલા પ્રવાસની વાત કરી હતી. આ શ્રેણીમાં ગાંગુલીની ભારતીય ટીમમાં પસંદગી કરાઈ હતી. પરંતુ તેમણે એકપણ મેચ રમવાની તક આપવામાં નહોતી આવી. ગાંગુલીએ જણાવ્યું હતું કે આ શ્રેણીના અનુભવ અને તેમની મહેનતે જ એક શાનદાર ક્રિકેટર બનાવ્યો હતો.
4 વર્ષ મેં પોતાને માનસિકરૂપે સક્ષમ બનાવ્યો
ગાંગુલીએ કહ્યું હતું કે હું 1992ની શ્રેણીમાં પોતાને ફેઈલ માનું છું. મને ત્યાં રમવાની તક નહોતી મળી. હું જ્યારે પ્રવાસથી પાછો ફર્યો, ત્યારે આ અંગે ઘણા વિચારો કર્યા હતા. મેં માનસિકરૂપે પોતાને વધુ કઠણ અને સક્ષમ બનાવ્યો હતો. હું ફિટ નહોતો, પરંતુ મને ખબર હતી કે મારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન મેળવવા માટે શું કરવાનું છે.
ગાંગુલીએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી
ગાંગુલીએ કહ્યું હતું કે મેં આવનાર 3-4 વર્ષસુધી ઘણી મહેનત કરીને પોતાની સેલ્ફને ક્રિકેટ માટે ટ્રેઈન કરી હતી. મેં માત્ર શારીરિક દ્રષ્ટિએ નહીં પરંતું માનસિક રૂપે પણ પોતાને ઘણો મજબૂત બનાવ્યો હતો. મેં ડૉમેસ્ટિક ક્રિકેટમાં 4 વર્ષ સુધી ભરપુર રન બનાવ્યા હતા. જ્યારે હું 1996માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયો હતો, ત્યારે મેં પોતાને વધારે મજબૂત મહેસૂસ કર્યો હતો. મને ખબર પડી ગઈ હતી કે આંતરરાષ્ટ્રીય સ્તર પર રન બનાવવા માટે હિંમ્મત હોવી જોઈએ. ગાંગુલીએ આ શ્રેણીમાં બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 131 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 3 ટેસ્ટની શ્રેણીને 1-0થી જીતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.