કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વિકેટકીપર બેટર રિષભ પંત ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં રમી શકશે નહીં. ફેબ્રુઆરીમાં યોજાનારી આ સિરીઝ માટે ટીમ સિલેક્શન કમિટીએ પંતના રિપ્લેસમેન્ટની શોધ કરવી પડશે. હાલમાં, જે નામો રેસમાં આગળ માનવામાં આવે છે તે છે... કેએસ ભરત, સંજુ સેમસન, ઈશાન કિશન અને ઉપેન્દ્ર કુમાર.
પંતની ફિટનેસ અંગે સ્પોર્ટ્સ મેડિસિન એક્સપર્ટ ડૉ. રજત જાંગિડે શનિવારે કહ્યું હતું કે પંતની રિકવરીમાં એક વર્ષ લાગી શકે છે. તેમણે કહ્યું હતું કે 'જો હાડકામાં ઈજા થઈ હોય, તો તેને સાજા થવામાં 2-3 મહિના લાગે છે અને જો લિગામેન્ટ ફાટી જાય તો તેને સાજા થવામાં 6થી 9 મહિનાનો સમય લાગે છે. મોટાભાગે કાર અકસ્માતમાં લિગામેન્ટ ફાટી જાય છે. ક્યારેક તેને સાજા થવામાં સમય લાગે છે. આમાંથી સાજા થવામાં આખું વર્ષ નીકળી જાય છે.'
ચાર ખેલાડીઓ પંતનો વિકલ્પ બની શકે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પસંદગી સમિતિ પાસે સંજુ સેમસન, ઈશાન કિશન અને કેએસ ભરત અને ઉપેન્દ્ર કુમારના વિકલ્પ છે. ભરત અને ઉપેન્દ્ર કુમાર ભારત A ટીમના સભ્ય છે. ઈશાન કિશન અને સંજુ સેમસને ભારત માટે વન-ડે અને T20માં રમે છે.
પંતે શુક્રવારે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
પંતની સારવાર કરી રહેલા દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના ડૉક્ટર્સે જણાવ્યું હતું કે પંતની હાલત ખતરાની બહાર છે. શુક્રવારે તેના ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. અને મગજ અને કરોડરજ્જુના MRI રિપોર્ટ નોર્મલ આવ્યા છે. ઘૂંટણ અને પગની ઘૂંટીમાં દુખાવો અને સોજાના કારણે રવિવારે આ આનો MRI કરવામાં આવશે.
દિલ્હીથી રૂરકી જતી વખતે આ અકસ્માત થયો હતો
પંત ગુરુવારે દિલ્હીથી રૂરકીમાં પોતાના ઘરે જતા સમયે અકસ્માતનો ભોગ બન્યો હતો. તે પોતે પોતાની મર્સિડીઝ ચલાવતો હતો. આ અકસ્માતમાં તે બચી ગયો હતો. તેને 5 જગ્યાએ ઈજા થઈ છે. તેમાં કપાળ, જમણા હાથનું કાંડું, ઘૂંટણ, પગની ઘૂંટી અને જમણા પગના અંગૂઠાનો સમાવેશ થાય છે. ઘૂંટણ, પગની ઘૂંટી અને કાંડાની ઈજાઓ મહત્વપૂર્ણ છે કારણ કે આ ભાગો ઉપયોગ વિકેટકીપિંગ માટે નિર્ણાયક છે.
આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ યોજાવાની છે
ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી 4 ટેસ્ટ મેચની સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવાની દ્રષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રેન્કિંગમાં બીજા નંબર પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે.
ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાનું સ્થાન લગભગ નિશ્ચિત છે. તો, સાઉથ આફ્રિકા હજુ પણ ચોથા નંબર પર છે. ભારતને હોમ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝને ડ્રો કરવી જ પડશે. તો જ તેઓ ફાઈનલમાં પહોંચી શકશે. તેમને સિરીઝ જીતવી પણ પડશે.
પંતે બાંગ્લાદેશ સામે 49.33ની એવરેજથી રન બનાવ્યા હતા
પંતે બાંગ્લાદેશ પ્રવાસ પર 2 ટેસ્ટ સિરીઝમાં 3 ઇનિંગ્સ રમી હતી. જેમાં તેણે 49.33ની એવરેજથી 148 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 91.35 હતી. પહેલી મેચમાં તેણે 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. ત્યારપછી બીજી મેચની પહેલી ઇનિંગમાં 104 બોલમાં 93 રનની ઇનિંગ રમીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી.
પંતે ભારતમાં રમાયેલી ટેસ્ટમાં 44ની એવરેજથી રન બનાવ્યા હતા
33 મેચની તેની ટેસ્ટ કરિયરમાં પંતે 43.67ની એવરેજથી 2271 રન બનાવ્યા છે. જેમાં તેણે 5 સદી અને 11 અડધી સદી મારી છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ પણ 73.63ની રહી છે. પંતે વિદેશમાં 33માંથી 25 ટેસ્ટ રમી છે. તો તે ઘરઆંગણે માત્ર 8 ટેસ્ટ રમ્યો હતો. તેણે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં 6 અર્ધસદી અને એક સદી ફટકારી છે.
પંતે 2022માં 7 ટેસ્ટ રમી, 61.81ની એવરેજથી 680 રન બનાવ્યા
પંતે આ વર્ષે 7 ટેસ્ટ મેચ રમી છે. જેમાંતી બે ઘરઆંગણે અને પાંચ વિદેશમાં રમી છે. આ દરમિયાન તેણે 61.81ની એવરેજથી 680 રન બનાવ્યા છે. આમાં 2 સદી અને 4 ફિફ્ટી આવી છે. તેની બન્ને સદી ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશોમાં આવી હતી. જ્યાં દુનિયાભરના બેટર્સને રન ફટકારવામાં મુશ્કેલી પડે છે. તે છેલ્લા 2 વર્ષથી ટેસ્ટમાં શ્રેષ્ઠ ફોર્મમાં છે. આ દરમિયાન તે ક્રિકેટના સૌથી પડકારજનક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો સર્વશ્રેષ્ઠ બેટર પણ સાબિત થયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.