આજે વર્ષ 2023નો પહેલો દિવસ છે. બધાએ પોતપોતાની રીતે નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ પણ આમાંથી બાકાત નથી રહ્યા. ટીમ ઈન્ડિયાના પૂર્વ લેજેન્ડરી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ પોતપોતાની પત્નીઓ સાથે દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. તો કેપ્ટન રોહિત શર્મા પત્ની સાથે માલદીવ પહોંચી ગયા હતા. તો શ્રીલંકા સામેની T20 સિરીઝ માટેની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ઉજવણીમાં પાછળ રહ્યા નહોતા. તેમણે પણ પોતાની પત્ની સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો.
આ સ્ટોરીમાં આપણે ક્રિકેટ જગતના સ્ટાર્સે નવા વર્ષની કેવી રીતે ઉજવણી કરી તે જાણીશું... દુબઈમાં ધોની-કોહલીએ પોતપોતાની પત્નીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી...
સાક્ષીએ આતીશબાજીનો વીડિયો પોસ્ટ કર્યો
મહેન્દ્રસિંહ ધોનીએ દુબઈની ધ પામ હોટેલમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. સાક્ષીએ રવિવારે સવારે એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં લખ્યું હતું કે 'A sky full of stars'. જેમાં ધોની તેની પુત્રી ઝીવા સાથે આકાશમાં આતશબાજીના નજારાનો આનંદ લેતા જોવા મળે છે.
'વિરુષ્કા' એ ફોટો શેર કર્યો
T20માં બ્રેક પર રહેલા વિરાટ કોહલીએ તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કરીને તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તો, અનુષ્કાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિરાટ સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો. વિરાટની સાથે દુબઈમાં તેના ભાઈ-બહેન પણ છે. કોહલી શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થનારી T20 સિરીઝના ભાગ નથી. તેઓ 3 મેચની વન-ડે સિરીઝમાં રમશે.
કેપ્ટન રોહિત શર્મા પરિવાર સાથે માલદિવ્ઝમાં છે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હાલ પોતાના પરિવાર સાથે માલદિવ્ઝમાં વેકેશન માણી રહ્યા છે. તેમણે પણ પોતાના પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. તેમની પત્નીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટોઝ પોસ્ટ કર્યા હતા. રોહિત શર્માને પણ વિરાટ કોહલીની જેમ જ શ્રીલંકા સામેની T20 સિરીઝમાં આરામ આપ્યો છે. તેઓને શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં કેપ્ટન તરીકે જાળવવામાં આવ્યા છે. બાંગ્લાદેશ સામેની તબીજી વન-ડે મેચમાં ઈજા પહોંચ્યા પછી તેઓ ત્રીજી વન-ડે અને બે મેચની ટેસ્ટ સિરીઝમાંથી ખસી ગયા હતા.
હાર્દિકે પણ ફોટો પોસ્ટ કર્યો હતો
શ્રીલંકા સામેની T20 સિરીઝ માટેની ટીમના કેપ્ટન હાર્દિકે પણ પત્ની નતાશા સ્ટાનકોવિક સાથેનો ફોટો શેર કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટો હોટલમાં પાર્ટી પહેલાનો છે.
સૂર્યકુમાર યાદવ 2023ના પહેલા દિવસે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર સૂર્યકુમાર યાદવ વર્ષના પહેલા દિવસે રવિવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તેમણે ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા. સિદ્ધિવિનાયક પહોંચ્યા બાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી હતી. શ્રીલંકા સામેની T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તેઓ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં પણ ટીમમાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.