સુરતઃ શહેરના નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયાના અહેવાલ છે. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. જેમાં USથી આવેલા કિરીટભાઈ વિરજીભાઈ ગણાત્રા(ઉ.વ.55)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયા હતા. હાલત નાજૂક જણાતા સિવિલ બાદ કિરીટભાઈને વધુ સારવાર અર્થે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
વેસુમાં મિત્રને મળ્યા બાદ અમદાવાદ જતા અકસ્માત નડ્યો
બનાવની પ્રારંભિક વિગતો એવી છેકે, વહેલી સવારે 4.35 વાગ્યાની આસપાસ એક ટ્રકે કારને અડફેટે લેતા કાર સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એન્જીન પણ બહાર આવી ગયું હતું. અકસ્માત થયાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તાત્કાલિક 108ની ટીમને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. NRI કિરીટભાઈ વેસુમાં પોતાના મિત્રને ત્યાં આવ્યા હતા અને વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યાં હતા એ સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.