રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ હેલ્થ પરમિટ આપવામાં ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રાજ્યના આરોગ્ય વિભાગને મળેલી ફરિયાદ બાદ સરકારે તપાસના આદેશ આપી દીધા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ હેલ્થ પરમિટમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની બહાદૂરસિંહ ઝાલા નામના અરજદારે ગાંધીનગરમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, હેલ્થ પરમિટ રિન્યૂ અને નવી કાઢવામાં લાંચ લેવામાં આવે છે અને રૂપિયાના જોરે કોઇને પણ બેફામ બનીને પરમિટ આપી દેવાય છે. કમિટીમાં ફિઝિશિયન અને આરોગ્ય નાયબ નિયામક હોય છે, પણ ડો. મહેતાની મનમાની ચાલે છે તેમજ તેમની સાથે નશાબંધી વિભાગના અધિકારીઓ પણ સંડોવાયેલા છે.
પરિપત્ર અને જવાબો આપવાના બાકી
‘ગેરરીતિ અંગે ગાંધીનગર ફરિયાદ કરવામાં આવતા સરકારે હેલ્થ પરમિટ અંગેની કાર્યવાહીના કાગળો અને જવાબો માગ્યા છે જે બાકી છે, ટૂંક સમયમાં મોકલવામાં આવશે. હેલ્થ પરમિટ માટે જે કમિટી હતી તેમાં ફક્ત મારી જવાબદારી ન હતી નાયબ આરોગ્ય નિયામક પણ હતા જોકે હવે આ કમિટી વિખેરી દેવાઈ છે’ > ડો. મનીષ મહેતા, તબીબી અધિક્ષક, પીડીયુ હોસ્પિટલ
અને આ કારણે બોર્ડ મુકાયું હતું
તબીબી અધિક્ષકની કચેરીની બહાર બોર્ડ મુકાયું છે કે, હેલ્થ પરમિટ માટે કોઇ ચાર્જ લેવાતો નથી. આ બોર્ડની તસવીર દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરી હતી કે શું આવું કઈં ચાલતું હતું જેને કારણે બોર્ડ મૂકવું પડ્યું છે? તેનો ખુલાસો હવે ડો. મનીષ મહેતાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હેલ્થ પરમિટમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ બાદ કમિટીએ નિર્ણય લીધો હતો કે આ પ્રકારનું બોર્ડ મુકાવું જોઇએ. ફરિયાદને અનુસંધાને સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ અરજી આવતાં જ હેલ્થ પરમિટ માટે સિવિલ હોસ્પિટલમાં બનેલી કમિટી વિખેરી દેવાઈ છે. કેટલાક અધિકારીઓના નિવેદનો પણ લેવાઈ ચૂક્યા છે, જ્યારે ડો. મનીષ મહેતાએ આ અંગે જવાબો દેવાના બાકી હોવાનું જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.