- મહેસાણાના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ શિવરાત્રીએ બ્રહ્મલીન થયા
શહેરના ફુવારા ચોક નજીક આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના મહંત ગણેશદાસજી શિવરાત્રીએ ગુરુવારે પરોઢે બ્રહ્મલીન થયા હતા. એમના અંતિમ દર્શન માટે સવારથી જ મંદિરે ભક્તો ઊમટયા હતા. બપોરે નીકળેલી પાલખી યાત્રા અને અંતિમ સંસ્કાર વખતે શ્રદ્ધાળુઓ, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મહેસાણાના જ વતની એવા સિદ્ધિ વિનાયક મંદિરના મહંત ગણેશદાસજીને શરદી ખાંસી સાથે ન્યૂમોનિયાની ગંભીર અસર થતાં છેલ્લા પખવાડિયાથી તબિયત લથડતાં સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. જોકે તબિયતમાં સુધારો થતાં અહીં લવાયા હતા. દરમિયાન ગુરુવારે શિવરાત્રીની પરોઢે ત્રણેક વાગ્યે એકાએક તબિયત વધુ બગડી હતી અને બ્રહ્મલીન થયા હતા. આ સમાચાર પ્રસરતાં વહેલી સવારથી જ મંદિરે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો હતો. અંતિમ દર્શન માટે મંદિરે મહંતને બેઠક મુદ્રામાં રાખવામાં આવતાં બપોર સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. બપોરે ૨ વાગે એમની પાલખી યાત્રા નીકળી હતી.
શહેરના તોરણવાળી માતા ચોકથી આઝાદ ચોક થઇ પરા વિસ્તારમાં આવેલા શાંતિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા હતા. લાગણીવશ ભક્તો અને શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહને લીધે અઢી કિલોમીટર જેટલું અંતર કાપતાં પાલખીયાત્રાને દોઢ કલાક જેટલો સમય થયો હતો. રસ્તામાં બાપુને ઠેર ઠેર પુષ્પાંજલી અપાઇ હતી. ૩-૩૦ કલાકે પાલખી યાત્રા શાંતિધામ ખાતે પહોંચતાં ધાર્મિક વિધિ અનુસાર મહંતના પુત્ર લાલજી મહારાજ સહિતની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. જેમાં વિવિધ મંદિરોના મહંતો, રાજકીય આગેવાનો, અગ્રણીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...