Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બહુચરાજી માતાજીના સાનિધ્યમાં યોજાનારા ચૈત્રી નવરાત્રિ મહોત્સવનાં શુભ મુહૂર્ત જોવાયાં
શક્તિપીઠ બહુચરાજીમાં બહુચર માતાજીના સાનિધ્યમાં યોજાનારા ચૈત્રી નવરાત્રિ મહોત્સવનાં શુભ મુહૂર્ત જોવાયાં છે. જે મુજબ 25 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રિ ઉજવાશે. જ્યારે પરંપરાગત લોકમેળો તા.6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન યોજાશે. તા.25 માર્ચે ઘટસ્થાપન વિધિ સાથે ચૈત્રી નવરાત્રિનો આરંભ થશે.
બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ, બહુચરાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવ અંતર્ગત મંદિર પ્રક્ષાલન વિધિ ફાગણ વદ-30 (અમાસ) તા.24 માર્ચને મંગળવારે બપોરે 1-30 કલાકે કરાશે. મંદિરમાં ઘટ સ્થાપન વિધિ ચૈત્ર સુદ એકમ તા.25 માર્ચને બુધવારે સવારે 7-30 કલાકે વહીવટદારનાં વરદ હસ્તે થશે.
શતચંડી યજ્ઞનો પ્રારંભ ચૈત્ર સુદ-6 તા.30 માર્ચને સવારે 10 કલાકે થશે, જેની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ-8 તા.1 એપ્રિલને સાંજના 4-30 કલાકે થશે. માતાજીની આઠમની સવારી 1 એપ્રિલની રાત્રે 9-30 કલાકે મંદિરથી પ્રસ્થાન કરશે તથા રાત્રે 12 કલાકે માતાજીનો પલ્લીખંડ નૈવેદ્ય ભરાશે. નવરાત્રિ ઉત્થાપન વિધિ ચૈત્ર સુદ-10 તા.3 એપ્રિલને સવારે 7-30 કલાકે કરાશે.
પૂનમે માતાજીની સવારથી બહુચરાજીથી શંખલપુર જશે
ચૈત્ર સુદ પૂનમનો લોકમેળો તા.8 એપ્રિલના રોજ ભરાશે. માતાજીની પરંપરાગત સવારી 8 એપ્રિલને રાત્રે 9-30 કલાકે બહુચરાજી સ્થિત માતાજીના નીજમંદિરથી નીકળી શંખલપુર મુકામે માતાજીના આદ્ય સ્થાનકે જશે. ચૈત્ર સુદ 14ને તા.7 એપ્રિલના રોજ સવારે 5 કલાકથી તા.8 એપ્રિલના રોજ પૂનમની રાત્રે માતાજીની સવારી શંખલપુરથી પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે મંદિરનાં દ્વાર સતત ખુલ્લાં રહેશે.