Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાંચ લેવાના કેસમાં દાવડના સરપંચ હોદ્દા પરથી મોકૂફ
ઇડરતાલુકાના દાવડ ગ્રામ પંચાયતના સરપંચ લાંચ લેતા થોડા દિવસ અગાઉ તેઓ એસીબીના લાંચના છટકામાં પકડાઇ ગયા હતા. ત્યારબાદ તેમની અટક કરાઇ હતી અને જેલવાસ થતા તે નૈતિક અધ:પતનનો ગુનો બનતા જિલ્લા વિકાસ અધિકારીએ તે સબબ તેમને સરપંચ પદેથી ફરજ મોકૂફ કર્યા છે.
દાવડના સરપંચ રંગુસિંહ અમરસિંહ ચૌહાણ દ્વારા એક વર્ષના કરારથી ગામની સીમમાં આવેલ તળાવમાં શિંગોડાનું વાવેતર કરવા એક શખ્સ પાસેથી રૂા.5 હજારની લાંચ માગી હતી. જેથી શખ્સે ગત તા.23 જૂનના રોજ હિંમતનગર એસીબીને જાણ કરી લાંચનું છટકું ગોઠવ્યુ હતું. જેમાં તેઓ રૂા.5 હજારની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. ત્યારબાદ તેમની અટક કરાઇ હતી. જોકે ગત તા.30 જૂનના રોજ તેમને જાતમુચરકાના રૂા.10 હજારના જામીનથી મુકત કરાયા હતા.
બીજી તરફ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1998ની કલમ 7,13(1) તથા કલમ 13(2) મુજબ મળેલા જામીન બાદ જિલ્લા વિકાસ અધિકારી હર્ષ વ્યાસએ સોમવારે તેમને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) અન્વયે તેમના વિરૂધ્ધ દાખલ થયેલ ગુના અંતર્ગત અધ:પતનનો ગુનો બનતો હોઇ હોદા્ મોકૂફ કરાયા છે. જે અંગે પંચાયતના તલાટીને જાણ કરાઇ છે.