- પરિસ્થિતિ: ખારાઘોઢા રણમાં 1872થી બ્રિટીશ હુકૂમત સમયે મીઠું પકવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો..
- અગરિયાને ઝૂંપડે 8 થી 10 દિવસે એક જ વાર પાણીની ટેન્કર આવે છે
પાટડી: ખારાઘોઢા રણમાં 1872થી બ્રિટીશ હુકુમત સમયે મીઠુ પકવવાની શરૂઆત થઇ હતી. આજે રણમાં બે હજારથી વધુ અગરીયા પરિવારો મીઠુ પકવવાનું કામ કરે છે. 26મી જાન્યુઆરી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પાટડી ખાતે મંત્રી રમણલાલ વોરા ઉપસ્થિતમાં ઉજવાઇ રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે રણમાં મીઠુ પકવતા અગરીયા ભુલકાઓની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા રણનો સર્વે કર્યો હતો. જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં મીઠુ પકવતા અગરીયા પરિવારોને 2 થી 3 ટેન્કરો દ્વારા પીવાનું પાણી પૂરૂ પાડવા છતાં દરેક અગરીયા ઝૂંપડે 8 થી 10 દિવસે એક જ વાર પાણીનું ટેન્કર આવે છે. અગરિયા ભૂલકાઓને કેરબા બાંધી પાણી માટે વલખા મારે છે.
80 % અગરિયાઓને ચામડીનો રોગ
રણમાં મીઠુ પકવતા અગરીયાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે અગરીયાઓ માટે નહાવાની વાત તો સેંકડો માઇલ દૂર છે. આથી જ રણમાં મીઠુ પકવતા અગરીયાઓમાંથી 80 થી 85 ટકા અગરીયાઓ આજેય ચામડીનાં રોગથી પીડાય છે એ પણ કડવુ સત્ય છે.
દોઢ કરોડની પીવાના પાણીની પાઇપ લાઈન યોજના અટવાઇ
પાણી પુરવઠા વિભાગ દ્વારા ખારાઘોઢાથી રણમાં 63 કિમીના અંતરમાં રૂ. દોઢ કરોડનાં ખર્ચે પાઇપલાઈન નાંખવાની રણમાં ખોદકામ પણ શરૂ કરાયુ હતું. પરંતુ અભિયારણ્ય વિભાગે આ યોજનાને મંજૂરી ના આપવાના કારણે કામ અટકાવતા આખી યોજના પડી ભાંગી હતી. જેને પગલે લોકો મુશ્કેલીમાં છે.