લખતર: ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા કેનાલનું પમ્પિંગ સ્ટેશન લખતર પાસે છે. ત્યારે સૌરાષ્ટ્ર શાખા બન્યાને સારો એવો સમય વિતવા છતાં તેની યોગ્ય મરામત થાય છે કે કેમ. તે બાબત તંત્ર જાણે નિષ્ક્રીય હોવાનું જાણવા મળે છે. અને આથી આ કેનાલ નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં દુર્ઘટનાના ભયથી રોષની લાગણી જોવા મળે છે.
પમ્પિંગ સ્ટેશન પાસે કેનાલમાં રિપેરીંગની સ્થાનિક જનતા માંગ
ગુજરાતની જીવાદોરી તરીકે ખ્યાતનામ થયેલ નર્મદા કેનાલ ઉપર સારાય દેશમાં અને એશિયા ખંડમાં નામનાં અપાવનાર પંપીંગ સ્ટેશનો બનાવી સરકારી તંત્રે જાણે પોતાની કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો છે. પરંતુ ઢાંકી અને લીલાપુર ગામ નજીક બનેલ પંપીંગ સ્ટેશન નં.1 નજીક આવેલ સૌરાષ્ટ્ર શાખા નહેર તરીકે ઓળખાતી નર્મદા કેનાલને બન્યા વરસો વિત્યા બાદ આ કેનાલની મરામત તરફ જાણે તંત્રનાં આંખે પાટા બાંધ્યા હોવાનો ઘાટ જોવા મળે છે. પંપીંગ સ્ટેશન નં.1માંથી છૂટતું પાણી જે કેનાલ મારફત આગળ વધે છે તે કેનાલની બાજુઓ એટલી હદે જૂની ઘસાઈ ગયેલી જોવા મળે છે કે તે કેનાલની બાજુમાં કરેલ આરસીસી કામ જર્જરીત થઇ ગયેલું નરી આંખે જોઈ શકાય છે.
હાલમાં ચોમાસાની મૌસમ શરૂ થયેલ છે. ત્યારે નજીકના ગામોનાં લોકોમાં પાણીની સપાટી વધતાં જો આ કેનાલમાં દૂર્ઘટનાનો ભય ઉભો થયો છે. આ અંગે ચમનભાઈ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં આ વિસ્તારમાં હજુ વરસાદ વાવણી લાયક માંડ માંડ થયો છે. ત્યારે જો આ અકસ્માત બને તો આ વિસ્તારનાં ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવું થાય. આથી આ અંગે સત્વરે તંત્રએ યોગ્ય કરવું જોઈએ. આ અંગે નર્મદા નિગમની સૌરાષ્ટ્ર શાખા નહેરની કડી ખાતે આવેલ કાર્યપાલક ઈજનેરની કચેરીનાં કાર્યપાલક ઈજનેર બી.ડી.પટેલે જણાવ્યુ કે, આ નહેરનો હવાલો સંભાળતી સુરેન્દ્રનગરની કચેરીનાં નાયબ કાર્યપાલક ઇજનેરને આ કામનાં પ્લાન એસ્ટીમેટ બનાવવાની સુચના આપી દીધી છે. તે આવ્યે વર્તુળ કચેરીને મંજુરી અર્થે મોકલી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.