દારૂડીયાનું દંગલ : છરો લઇ આતંક મચાવતાં 4 ઘાયલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં ધોળા દિવસે યુવાને ખૂલ્લી છરીથી આંતક મચાવતા શહેરીજનો સાથે પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પેટ્રોલપંપને નિશાન બનાવ્યા બાદ એસ.ટી.બસના કંડકટરને અને મહિલાને છરીના ઘા ઝીંકી દેતા ચકચાર ફેલાઇ છે. આ બનાવ બાદ એસ.ટી.બસોનાં પૈડા થંભી ગયા હતાં. આ બનાવમાં પોલીસે આ યુવાનને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર શહેરનાં જાહેર રસ્તા પર ખૂલ્લી છરીથી મચાવેલા આંતકના કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. નંબર પ્લેટ વગરના બાઇક તેમજ છરી સાથે નીકળેલા આ શખ્સે  એક પછી એક વ્યક્તિને નિશાન બનાવતા ભયનો માહોલ છવાઇ ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિત મુજબ સોમવારે અજાણ્યા યુવાન બાઇક લઇને કુંભારપરા પાસે આવેલ પેટ્રોલપંપે પેટ્રોલ પૂરાવા આવ્યો હતો. ત્યારે પેટ્રોલનાં પૈસા માંગતા ઉશ્કેરાયેલા યુવાને પેટ્રોલપંપની ઓફિસમાં જ બાઇક સાથે ઘૂસીને આંતક મચાવતા પેટ્રોલ પંપ  પર આવેલા ગ્રાહકો અને કર્મીઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
 
બાઇક સાથે ઘૂસેલા આ યુવાને પંપની ઓફિસના બારણા તોડીને કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો. આટલેથી ન અટકતા બાઇક મૂકીને આગળ ઉભેલી એક મહિલાને પણ છરી વડે હુમલો કરી ઇજા કરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને શહેરની સી.જે. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતાં. દારૂ પીધેલી હાલતમાં તહેવારના દિવસે જ આ યુવાને શહેરમાં દંગલ મચાવતા પોલીસતંત્ર પણ દોડતુ થઇ ગયુ હતું.
 
શહેરનાં અનેક વિસ્તારોમાં નાકાબંધી કરીને આંતક મચાવનાર શખ્સને સિટી એ ડિવીઝન પોલીસ ટીમે દબોચી લીધો હતો. આ શખ્સ શહેરનાં લક્ષ્મીપરા વિસ્તારનો સાકીર ખોખર હોવાનું ખૂલ્યુ હતું. છરીના હુમલાથી ઇજાગ્રસ્ત ઉષાબેન રણજીતભાઈ દેગામાએ આ બનાવ અંગે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી સાકીર રજાકભાઈ ખોખર સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એ.જે.પરમાર કરી રહ્યાં છે. 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...