Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમ આદમી પાર્ટીનું રાજકોટમાં 22 માર્ચે સંમેલન
આમ આદમી પાર્ટીએ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની આગામી ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ હવે એક પછી એક મહાનગરમાં આમ આદમી પાર્ટી સંમેલન બોલાવી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત બાદ હવે રાજકોટમાં સંમેલનની તૈયારી કરવામાં આવી રહી છે. આગામી 22 માર્ચે આમ આદમી પાર્ટીનું રાજકોટમાં સંમેલન યોજાશે. જેમાં ગુજરાતના પ્રભારી અને દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાય માર્ગદર્શન આપવા માટે રાજકોટ આવશે. આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા કો ઓર્ડિનેટર અજિત લોખીલે જણાવ્યું હતું કે, રાજકોટમાં વિશાળ સંમેલનના આયોજનની તૈયારી ચાલી રહી છે. હજુ સ્થળ ફાઇનલ થયું નથી એકા’દ દિવસમાં સ્થળની જાહેરાત કરવામાં આવશે.
આમ આદમી પાર્ટી સાથે ઉદ્યોગપતિઓ, યુવાનો સહિતના સમાજ સુધારકો પણ જોડાઇ રહ્યા છે જે આગામી દિવસોમાં રાજકોટને નવો વિકલ્પ આપશે. રાજકોટના સંમેલનમાં ગોલાય રાય ઉપરાંત રાજ્યસભાના સાંસદ સંજયસિંઘ પણ આવે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં રાજકોટને નવા વિકલ્પો આપવા ચર્ચા વિચારણા કરાશે.