(પ્રતિકાત્મક તસવીર)
પોરબંદર: હાલમાં ચોમાસાની સીઝન આવતી હોવાથી પોરબંદર શહેર અને જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને લોકો તાવ, શરદી, ઉધરસ જેવી બિમારીઓમાં સપડાઈ રહ્યા છે ત્યારે લોકો સારવાર લેવા માટે જિલ્લાની મુખ્ય ગણાતી ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવે છે. પરંતુ આ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો તેમજ પૂરતો દવાનો જથ્થો નહીં હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ સિવિલ સર્જનને રજૂઆત કરી હતી.
દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડે છે
પોરબંદર શહેરમાં આવેલ ભાવસિંહજી હોસ્પિટલમાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. પરંતુ આ હોસ્પિટલમાં પૂરતી સવલતો નહીં હોવાથી દર્દીઓને પૂરતી સારવાર મળી નથી રહી અને ડોક્ટરોની પણ જગ્યાઓ કેટલાક લાંબા સમયથી ખાલી છે જેથી દર્દીઓને સારવારમાં માટે નાછુટકે ખાનગી હોસ્પિટલમાં ઉંચા નાણા ચૂકવીને જવું પડી રહ્યું છે. આ ઉપરાંત જે દવાઓ વિનામૂલ્યે દર્દીઓને આપવાની હોય છે તે પણ પૂરતા પ્રમાણમાં ન મળતી હોવાથી દર્દીઓને બહારના મેડીકલમાંથી દવાઓ લેવી પડતી હોવાની ફરીયાદો પણ ઉઠી છે. આ બાબતોને લઈને કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ બાબતે સિવીલ સર્જન મંજરીબેન મંકોડીને રજૂઆતો કરી હતી અને આ બાબતે વહેલી તકે યોગ્ય કરવાની સિવિલ સર્જને ખાત્રી આપી હતી. તંત્ર દ્વારા શહેરમાં ફોગીગની કામગીરી કરવામાં આવે એવી કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટર દ્વારા પેરામેડીકલ સ્ટાફનું શોષણ કરવામાં આવે છે
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં જે પેરામેડીકલ સ્ટાફ છે તેમને ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા આ હોસ્પિટલના સ્ટાફનો પગારની ચૂકવણી થાય છે તે અત્યંત ઓછો પગાર આ સ્ટાફને ચૂકવી રહી હોવાનું રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું તેમજ ક્વોલીફાઈડ સ્ટાફની ભરતી કરવાની પણ માંગ કરી હતી. સિવીલમાં સ્ટાફનો અભાવ હોવાથી વહેલી તકે તબીબોની નિમણૂંક કરવામાં આવે એવી માંગ પણ કરી હતી.