પોરબંદર/સોઢાણા: પોરબંદર શહેરમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને બપોરના 11 વાગ્યે મેઘરાજાનું આગમન થયું હતું. ધીમીધારે સતત વરસાદ પડતા 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આ વરસાદને પગલે શહેરના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જે વિસ્તારમાં રસ્તાનું નવિનીકરણ થયું નથી ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પોરબંદરના બરડાપંથકના બગવદર, સોઢાણા સહિતના ગામોમાં બે ઈંચ જેટલો વરસાદ પડતા વાડી-ખેતરો પાણીથી છલોછલ થઈ ઉઠ્યા હતા. નદી-નાળા અને તળાવોમાં નવા નીરની આવક જોવા મળી હતી. રાણાવાવની વાત કરીએ તો આજે અહીં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને ધીમીધારે 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે માધવપુરમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું.
ધીમીધારે 2 ઈંચ જેટલો વરસાદ પડતા માધવપુરની શેરી-ગલીઓમાં પાણી વહેવા લાગ્યા હતા. જિલ્લામાં સાર્વત્રિક મેઘકૃપા થતા લોકોના હૈયે આનંદ જોવા મળ્યો હતો.