ફિલ્મી સિતારાઓની સામાજિક જવાબદારી
પ્રિયંકા ચોપરાએ નીરવ મોદીની હીરા ઝવેરાતની કંપનીના વિદેશમાં પ્રચારની બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનું કામ મૂકી દીધું છે. આ જાહેરાત તેણે નીરવ મોદી દ્વારા ભારત સરકાર અને લોકોને કરોડોનો ચૂનો લગાડ્યાનું કૌભાંડ બહાર આવ્યાના નવ દિવસ પછી કરી છે. મોડું થવાનું કામ એવું દર્શાવવામાં આવ્યું છે કે તે સતત યાત્રા પર હતી. શું સિતારાઓ જાહેરાત કરતાં પહેલાં એ વસ્તુની પ્રામાણિકતાની તપાસ કરે છે ખરા? તેમણે એ તપાસ કરવી જોઈએ.
વૈજ્ઞાનિક અને ટેક્નોલૉજીના સ્તરે આ શક્ય ન પણ હોય, તો બ્રાન્ડ કે કંપનીની સાખનો ખ્યાલ તો રાખી જ શકાય છે. ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ અને તેમના સમયના અન્ય અનેક સિતારાઓએ જાહેરાતોમાં કામ નથી કર્યું. આ કામ એ દિવસોમાં નૈતિક દૃષ્ટિએ યોગ્ય ન ગણાતું. ઇંગ્લેન્ડના કલાકાર સર ઑલિવરે તો એ ચિરુટની જાહેરાત કરવાની પણ ના પાડી દીધી જે તેઓ ખુદ પીતા હતા. કારણ કે લોકોના સ્વાસ્થ્યની તેમને ચિંતા હતી.
પહેલી પ્રતિભા ત્રિપુટી જેવા ધર્મેન્દ્ર, મનોજ કુમાર અને રાજેન્દ્ર કુમાર પણ જાહેરાતોમાં કામ નહોતા કરતા. વર્તમાન સમયમાં શાહરુખ ખાનના કહેવા પ્રમાણે તેણે ફિલ્મોમાંથી મળતા વળતરની ક્યારેય ચિંતા નથી કરી અને ઘરનો ખર્ચ માત્ર જાહેરાતોમાંથી જ નીકળે છે. સિતારાઓની લોકપ્રિયતાના કારણે તેઓ યુવાન પેઢી પર પ્રભાવ ધરાવે છે અને તેમનું અનુકરણ પણ કરવામાં આવે છે. અત્યારના બજારના સમયમાં જાહેરાતો મહત્ત્વની બની ગઈ છે. જે રાજ્યોમાં ખેડૂતોએ આપઘાત કર્યા કે મરાયા અને વ્યાપમં જેવા કૌભાંડો થયાં, તે રાજ્ય પણ પાંચ પાનાં ભરીને જાહેરાતો આપે છે.
આ વિચિત્ર સમયમાં એક સંસ્થા ગાયનું એટલું ઘી વેચી રહી છે, જેટલું ગાયો દૂધ પણ નથી આપતી. જાહેરાતો દ્વારા વાળ વગરનાને દાતિયો અને એસ્કિમોને બરફ વેચી શકાય છે. અલબત્ત, આ જ જાહેરાતકળાની કસોટી છે. મહાનગરોમાં એક કંપની બરફ વેચે છે અને તેનો દાવો એવો છે કે પીવાના પાણીને ફિલ્ટર કર્યા બાદ તેને ઉકાળીને ઠંડુ પાડવામાં આવે છે અને તેમાંથી બરફ બનાવવમા આવે છે. પૈસાદાર લોકો પોતાની શરાબ અને પીવામાં આ જ ‘યજ્ઞોપવિત બરફ’નો ઉપયોગ કરે છે. જેથી તેમને કોઈ રોગ ન થાય. આ પ્રકારનો દેખાડ કરનારા લોકો એ હકીકતથી અજાણ છે કે મહાનગરોમાં જ ઝૂંપડપટ્ટીઓ આવેલી છે અને ક્યારેક કોઈ વાઇરલ રોગ આ જગ્યાએથી પૈસાદારોની આરસની હવેલીઓમાં ઘૂસી જશે. બંગલાઓના દરવાજે ઊભા રાખેલા સુરક્ષાકર્મીઓ બીમારીઓને અંદર આવતી રોકી શકે તેમ નથી. આપણે આણી આજુબાજુ સમાજથી અલગ નથી રહી શકતા. અલબત્ત, આપણે રહેવું પણ ન જોઈએ.
એ સિતારાઓ અને પૈસાદાર વર્ગના હિતમાં છે કે પોતાના અમર્યાદ ખજાનાઓ અને સાધનોથી સમાજમા સ્વચ્છતા અને સમાનતા લાવવાનો પ્રયત્ન કરે. વર્તમાન આર્થિક વિસંગતતાના લીધે ગુનાખોરી તો વધે જ છે, ઉપરાંત બીમારીઓ ફેલાવાનો પણ ભય રહે છે. આ મુદ્દે એક પક્ષ એ પણ છે કે એક રૂપિયામાં તૈયાર થતી વસ્તુના આકર્ષક પેકિંગ માટે પણ એટલો જ ખર્ચ લાગે છે. આ પડતર પર જાહેરાતનો ખર્ચ પછીથી ઉમેરવામાં આવે છે. જ્યારે પડતરમાં માત્ર હેરફેર, વિતરણ, નફો અને કરવેરા જ હોવા જોઈએ.
પરંતુ આજે તો જાહેરાત ખર્ચ પછી વિતરણ વ્યવસ્થા ખર્ચ ઉમેરાય છે અને એક રૂપિયાની પડતરનો માલ બજારમાં પંદર રૂપિયામાં ગ્રાહકને વેચવામાં આવે છે. ચાર આના કિંમતના મીઠાને સફેદ કરવાની પ્રક્રિયામાં ખર્ચ તો આવે જ છે, ઉપરાંત તેનાં પોષક તત્ત્વોને પણ અમુક અંશે અસર પહોંચે છે. આ રીતે ચૌદ રૂપિયામાં ગ્રાહકને મીઠું મળે છે. મહાત્મા ગાંધીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. આજે તો જાહેરાતોની દુનિયા થકી જ સત્તાધીશોનું નિર્માણ પણ થાય છે.
શું એ શક્ય છે કે કોઈ સાહસિક નિર્માતા એવું નિવેદન આપે કે તે પોતાની વસ્તુની જાહેરાત નહીં કરે અને આકર્ષક પેકિંગના બદલે સાદગી અપનાવીને વસ્તુ જ ઓછા ભાવે વેચશે, તો બજારમાં ક્રાન્તિ આવી જશે? બજાર આધારિત આ કાળમાં ક્રાન્તિ પણ બજારના રસ્તે જ આવશે. આ જ આજના સમયની વિસંગતતા છે. તંત્રએ ન તંત્રની ખામીઓ દૂર કરવાની છે.
જયપ્રકાશ ચોક્સે
jpchoukse@dbcorp.in