ખોડિદાસ પરમાર અને લાઠીના કુમાર મંગલસિંહે દોરેલા અને નાટ્યગૃહના મુખ્ય દરવાજા પર લાગેલા 25X5ની સાઇઝના ચિત્રો ગૂમ
ભાવનગર: એવુ કહેવાય છે કે જે સમાજ પોતાની કલાનો ઇતિહાસ ન સાચવી શકે તેની નવી પેઢીમાં કલાનો શૂન્યાવકાશ સર્જાય જતો હોય છે. આવી જ સ્થિતિ ભવિષ્યે કલાનગરી ભાવનગરની થઇ શકે તેમ છે શહેરના યશવંતરાય નાટયગૃહ ખાતે તેનુ નિર્માણ થયું તે સમયથી મુખ્ય દરવાજા પર 20 કરતા વધુ વર્ષોથી પ્રતિષ્ઠિત ચિત્રકારો ખોડિદાસ પરમાર અને લાઠીના કુમાર મંગળસિંહજીએ દોરેલા 25x5ની સાઇઝના ચિત્રો લગાવેલા હતા. પરંતુ 2 વર્ષ પૂર્વે આ નાટયગૃહનુ રિનોવેશન થતા બંને ચિત્રો અદ્રશ્ય થઇ ગયા છે. ખોડિદાસ પરાર અને લાઠીના કુમાર મંગળસિંહજી બંને ચિત્રકારોએ પોતાના સમયમાં એક ઇતિહાસ બનાવ્યો હતો. અને ભારત દેશના ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકારોમાં ગણના થતી હતી. ભોપાલ સ્થિત રવીન્દ્ર આર્ટ ગેલેરીમાં પણ ચિત્રોને સ્થાન મળ્યુ છે. એ ઉપરાંત દિલ્હી, ઉજજૈન, ધનબાદ જેવા સ્થળોએ ચિત્રો સચવાયા છે.
કલાનગરી માટે દુ:ખની વાત...
ભાવનગર શહેર કલાનગરીની છાપ ધરાવે છે. ત્યારે આ ચિત્રકારોનુ ગૌરવ નથી જળવાતુ તે દુ:ખની વાત છે. તે સમયે બંને કલાત્મક ચિત્રોને કારણે યશવંતરાય નાટયગૃહમાં પ્રવેશતા જ કલાના મંદિરમાં જવાનુ થતુ હોય તેવો અનુભવ થતો હતો. - નીતિનભાઇ દવે, શિવઓમ કલા સંસ્થા
બંને ચિત્રો ખરાબ થઇ ગયા છે...
બંને ચિત્રોને રિનોવેશનની જરૂર છે અત્યારે સ્ટોરરૂમમાં સાચવીને રાખ્યા છે. જોકે 2 વર્ષ પૂર્વે યશવંતરાય નાટયગૃહના રિનોવેશન સમયે હું ચાર્જમાં ન હતી. પરંતુ ભવિષ્યમાં આ ચિત્રોનુ ગૌરવ જળવાઇ તેવો ચોકકસ અમારો પ્રયત્ન રહેશે. - સીમાબેન ગાંધી, મેનેજર અને જિલ્લા રમત ગમત અધિકારી