આન્ધ્ર અને તેલંગાણાનો મૃત્યુઆંક અનુક્રમે 1334 અને 440 થયો
હવામાન ખાતાએ વધુ બે દિવસ સુધી લૂ ચાલુ રહેવાની આગાહી કરી
નવી દિલ્હી: ભીષણ ગરમીને કારણે સમગ્ર દેશમાં મોતનો સિલસિલો ચાલુ છે. ગુરુવારે મૃત્યુઆંક વધીને 1,826 થઇ ગયો છે. કાળઝાળ ગરમીને અને લૂને કારણે છેલ્લા 24 કલાકમાં આન્ધ્રપ્રદેશમાં 314 લોકો અને તેલંગાણામાં 100 લોકો મૃત્યુ પામતા બંને રાજ્યોનો મૃત્યુઆંક અનુક્રમે 1,334 અને 440 થઇ ગયો છે. ઓડિશામાં 43, ગુજરાતમાં 7 અને દિલ્હીમાં બે લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. હવામાન ખાતાએ વધુ બે દિવસ સુધી લૂ ચાલુ રહેવાની આગાહી કરી છે.
દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઓડિશા સહિત દેશનાં વિભિન્ન રાજ્યો ભયંકર ગરમીના સકંજામાં છે. આ રાજ્યોમાં તાપમાન 41-47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે. ઓડિશાના ભવાનીપટનામાં પારો સૌથી વધુ 46.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે.