Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બંધના એલાનની અસર વર્તાઇ બજારો રાબેતા મુજબ ખુલ્લાં રહ્યાં
સૌરાષ્ટ્રમાંઉના તાલુકાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર બનેલી અત્યાચારની ઘટનાના વિરોધમાં દલિત પેન્થર સમાજ તરફથી બુધવારે અપાયેલું ગુજરાત બંધનું એલાન વડોદરા શહેરમાં નિષ્ફળ રહ્યું હતું. જોકે, દલિતો પર અત્યાચારની ઘટનાને વાચા આપવા આમ આદમી પાર્ટી દ્વારા દેખાવો યોજાયા હતા. જ્યારે કોંગ્રેસ સહિત વિવિધ દલિત સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી દલિત યુવકો પર અત્યાચારની ઘટનાને વખોડી કાઢી હતી.
દલિત પેન્થર સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું અેલાન અપાયું હતું. પરંતુ વડોદરા શહેરમાં બંધની અસર વર્તાઇ નહોતી. બંધ દરમિયાન શહેરના તમામ વિસ્તારોમાં બજારો ખુલ્લાં રહેતાં બંધ નિષ્ફળ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. બંધના અેલાનને પગલે પોલીસ તંત્ર દ્વારા શહેરભરમાં બંદોબસ્ત ગોઠવી રાઉન્ડ ક્લોક પરિસ્થિતિ પર વોચ રાખવામાં આવતાં બંધ દરમિયાન શહેરમાં કોઇપણ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.
બીજી તરફ દલિતો પર અત્યાચારની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રેસકોર્સ-અાંબેડકર સર્કલ પાસે બુધવારે સવારે 11 થી 12 દરમિયાન ઉગ્ર દેખાવો કરાયા હતા. આમ આદમી પાર્ટીના 200 જેટલાં કાર્યકરોએ દલિતો પર અત્યાચારની ઘટના રાજ્યની ભાજપ સરકાર માટે શરમજનક લેખાવી રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ ‘આપ’ ના આગેવાનોના પ્રતિનિધિમંડળે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી દલિત સમાજને ન્યાય આપવાની માગણી કરી હતી.
ઉપરાંત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપી દલિતો પર અત્યાચારની ઘટનાને વખોડી કાઢી સમાજમાં સદ્ભાવનાનો માહોલ જળવાઇ રહે તે માટેનાં પગલાં લેવાની માગણી કરી હતી. કોંગી કાર્યકરોએ ગુનેગારોને પકડવામાં ભાજપ સરકારની નિષ્ફળતાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. દલિતો પર અત્યાચારના બનાવના વિરોધમાં એસએસઓ અધિકાર મહાસંઘ ગુજરાતના મ.ગુ.ના ચેરમેન ઠાકોર સોલંકી સહિત મહાસંઘના આગેવાનોએ પણ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદન આપતા પૂર્વે કોંગ્રેસના કેટલાક કાર્યકરો કોઠી ચાર રસ્તા પાસે રોડ પર બેસી ગયા હતા. જે પૈકી બે કાર્યકરે સિટી બસ રોકવાનો પ્રયાસ કરતાં પોલીસે બસ રોકવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
કોઠી પાસે બસ રોકવાનો કોંગ્રેસનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો
દલિતો પર અત્યાચારના વિરોધમાં આપ અને કોંગ્રેસના દેખાવો