Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુરુ દેવો ભવ:
અષાઢશુકલ પૂર્ણિમા એટલે ગુરુ પૂૂર્ણિમાનું પાવન પર્વ. પાવન પર્વની આજે વડોદરા શહેર-શ્રદ્ધાપૂર્વક ઉજવણી થશે. યાત્રાધામ નારેશ્વરમાં પૂ.રંગ અવધૂત મહારાજ મંદિર, તાજપુરામાં પૂ.નારાયણ બાપુના ધામમાં તેમજ વડોદરા પાસે અટલાદરા તેમજ હરિધામ સોખડામાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા પર્વ મનાવાશે.
નર્મદા નદીના કિનારે આવેલા યાત્રાધામ નારેશ્વરમાં બ્રહ્મલીન પૂ.રંગ અવધૂત મહારાજના મંદિર ખાતે ગુરુપૂર્ણિમા પર્વે પાદુકા પૂજન, ભજન કિર્તનના કાર્યક્રમો યોજાશે. જ્યારે તાજપુરામાં બ્રહ્મલીન પૂ.નારાયણ બાપુના ભક્તો દ્વારા ગુરુપૂજનનો કાર્યક્રમ ભક્તિ-સંગીતના કાર્યક્રમો સાથે સંપન્ન થશે. હરિધામ સોખડા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે 15 વર્ષ બાદ પૂ.હરિપ્રસાદ સ્વામીના સાંનિધ્યમાં હરિભક્તો દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ મનાવાશે. સવારે 10 થી બપોરે 1.30 સુધી યોજાનાર કાર્યક્રમમાં સંતો દ્વારા કિર્તન, ગુરુ પૂજન, સંતોના પ્રવચન તેમજ પૂ.હરિપ્રસાદ સ્વામીના આર્શીવચન યોજાશે. અટલાદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મંગળવારે સવારે 9.30 થી 11.30 સુધી ગુરુ પૂજન તેમજ ગુરુપૂર્ણિમા પર્વનું સત્સંગ પ્રવચન યોજાશે. કોઠારી પૂ.ભાગ્યસેતુદાસ સ્વામી ગુરુ મહિમા વર્ણવશે.
શહેરના હરણી-વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકૂળ વિદ્યાલયમાં સાંજે 7 કલાકે સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટના ઉપક્રમે બ્રહ્મલીન પૂ.ચંદ્રશેખર પંડિતજીની પાદુકાનું પૂજન-અર્ચન સાથે વ્યાસપૂર્ણિમા પર્વ મનાવાશે.ભારત વિકાસ પરિષદના ઉપક્રમે ગુરુવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પના ભાગરૂપે મંગળવારે ચાર શાળાઓમાં ગુરુવંદન કાર્યક્રમ યોજાશે. સવારે 8 કલાકે ગાયત્રી વિદ્યાલય(ગોત્રી), સવારે 9.30 કલાકે વિદ્યામંદિર વિદ્યાલય-રાણેશ્વર મંદિર(વાસણા રોડ), બપોરે 1 કલાકે સી.કે.પ્રજાપતિ વિદ્યાલય(ગોરવા) અને બપોરે 3.30 કલાકે ગાયત્રી વિદ્યાલય ખાતે ગુરુ વંદન થશે.
શહેરના માંજલપુર વિસ્તારમા આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કુલ ખાતે નાનાં બાળકોએ ટીચર્સ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.
નારેશ્વરમાં પાદકા પૂજન સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી