સનોલી પાસે નર્મદા મુખ્ય કેનાલ પર બનેલા પુલના જોઇન્ટમાંથી લોખંડની પટ્ટી નીકળી જતાં મુશ્કેલી
સંખેડા તાલુકાના સનોલી ગામ પાસે નર્મદાની મેઈન કેનાલ ઉપર બનેલા પુલના જોઇન્ટમાંથી લોખંડની પટ્ટી બહાર નીકળી ગઈ હોવાથી વાહનચાલકોને પરેશાની થઇ રહી છે. નર્મદા નિગમ દ્વારા સત્વરે સમારકામ હાથ ધરવા વાહનચાલકોની માંગ ઉઠી છે.
સંખેડા તાલુકાના સનોલી ગામ પાસેથી નર્મદાની મેઈન કેનાલ પસાર થાય છે.આ મેઈન કેનાલ ઉપર મોરખલા ગામ તરફ જવા માટેનો પુલ બનેલો છે.આ પુલ ઉપર એપ્રોચ અને પુલ વચ્ચેના જોઇન્ટમાંથી લોખંડની લાંબી પટ્ટી બહાર નીકળી ગયેલી છે.આ રસ્તેથી અનેક વાહનચાલકો વાયા મોરખલા થઈ વડોદરા જાય છે.
લોખંડની પટ્ટી બહાર નીકળી ગયેલી હોવાથી પસાર થતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.કોઈક વખત અત્રે ગંભીર અકસ્માત સર્જાય એવી સ્થિતિ હોવા છંતા પણ તંત્ર દ્વારા અત્રે સમારકામ નહી કરાતા વાહનચાલકોમાં નર્મદા કેનાલના સત્તાધીશો પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે.
નર્મદાની મેઈન કેનાલ પરના પુલના જોઇન્ટમાંથી લોખંડની પટ્ટી બહાર નીકળેલી દેખાય છે.તસવીર સંજય ભાટિયા