Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કલ્પતરુ કંપનીના પ્રોજેક્ટ મેનેજરની 2.44 કરોડની ઉચાપત, 7 સામે ફરિયાદ નોંધાઈ
ગાંધીનગરમાં સેક્ટર-28 સ્થિત અને દેશભરમાં નામના ધરાવતી કલ્પતરુ પાવર ટ્રાન્જીક્શન લિ. કંપનીમાંથી 2,44,96,345 રૂપિયાની ઉચાપત થઈ છે. કંપનીના પ્રોજેક્ટ મેનેજર દ્વારા છ જેટલા સબ કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ઉચાપત કરવામા આવી છે. જે મુદ્દે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં 7 સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ છે.
કલ્પતરૂ પાવર કંપની ખાતે આસિસ્ટન્ટ જનરલ મેનેજર એવા રીષભ શ્રીનવલ ખન્નાએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અશ્વીનીકુમાર શિવપુજન સીંગ (રહે-પકરી, આઝમગઢ, યુપી) 2014થી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. એપ્રિલ-2018માં કંપનીને આઈઓસીએલ તરફથી પારાદીપ-હૈદરાબાદ 600 કિલોમીટર પાઈપ લાઈનના પ્રોજેક્ટનું કામ મળ્યું હતું. અશ્વીનીકુમાર ઓરિસ્સાના બહેરામપુર ખાતે કંપનીની પેટા ઓફિસમાં બેસીને સંપૂર્ણ કામોની દેખરેખ રાખતા હતા. ઓક્ટોબર-2019માં કંપનીને ધ્યાને આવ્યું હતું કે અશ્વીનીકુમાર સીંગ પોતે રાખેલા પેટા કોન્ટ્રાક્ટરો સાથે મળીને ખોટા બીલો પાસ કરાવે છે. જેમાં તે કંપનીએ આપેલી મશીનરી અને વ્હીલક્સનો ઉપયોગ પેટા કોન્ટ્રાક્ટરો પાસે કરાવી તેના બીલ કંપનીમાં પાસ કરાવતા હતા. જેથી નવેમ્બર-2019માં કંપની દ્વારા અશ્વીનીકુમારનો ખુલાસો મંગાતા તેણે એફિડેવિટ કરીને 1.15 લાખના ખોટા બીલો મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેમાં પોતે રોકેલા પેટા કોન્ટ્રાક્ટર્સ ઈશ્વરચંદ્ર ગરનાયક, લલીતેદું પરીડ, પાઠક એન્જિનિયરિંગ, નીમીષ ઈન્ફ્રા, બીટનકુમાર દેહુરી, કેશન એન્ટરપ્રાઈઝ સાથે મળી છેતરપિંડી કરી હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત અશ્વીનીકુમારે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ઈશ્વરચંદ્ર ગરનાયક ફર્મ તેમજ પેટા ફર્મ જગન્નાથ કન્સ્ટ્રક્શન સાથે મળી આ પ્રકારે મશીનરીનો ઉપયોગ કરી 94,20,395 રૂપિયાની છેતરપિંડી કરી હતી. સાથે જ મશીનરીના ઉપયોગમાં વપરાયેલા ફ્લુઅલનું 35,75,950નું બીલ પણ કંપનીમાંથી પાસ કરાવ્યું હતું.
વપરાયેલા ફ્લુઅલનું 35,75,950નું બીલ પણ કંપનીમાંથી પાસ કરાવ્યું હતું
રાજકીય-અંડરવર્લ્ડ સુધી પહોંચ હોવાની પણ ધમકી આપી હતી
અશ્વીનીકુમારે કુલ 2.44 કરોડથી વધુની ઉચાપત કરતાં કંપની દ્વારા તેને હોદ્દા પરથી દૂર કરાયો હતા. પૈસાની ઉઘરાણી કરતાં તેણે કંપનીના સિનિયર મેનેજમેન્ટને પૈસા પરત આપવાની ના પાડી દીધી હતી. સાથે જ પોતાની રાજકીય અને અંડરવર્લ્ડમાં પહોંચ હોવાનું કહીંને કંપનીના હોદ્દેદારોને આ બાબતે ચર્ચા કે ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. બીજી તરફ કંપનીએ આપેલું 50 હજારનું લેપટોપ અને પ્રોજેક્ટ માટે બનાવેલા અગત્યના નકશા પણ પરત કર્યા ન હતા. જેથી આ પ્રોજેક્ટ મેનેજર અશ્વિનીકુમાર તથા 6 પેટા કોન્ટ્રાક્ટર્સ મળી કુલ 7 સામે ફરિયાદ નોંધાવી હતી.