- ધર્માંદા નહીં સ્વીકારવાના વિરોધમાં વડતાલ સ્વયંભૂ બંધ
- વડતાલમાં ઉપવાસ અાંદોલનમાં સુરતનાં 3 મહિલાની તબીયત લથડતાં હાેસ્પિટલમાં ખસેડાયાં : એકને કરમસદ હોસ્પિટલમાં ખસેડાયાં
નડિયાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ અને વડતાલના તાબાના મંદિરોમાં ધર્માદાના અસ્વીકારના વિરોધમાં તીર્થધામ વડતાલમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદના જૂથના સંતો તથા હરિભક્તોએ ઉપવાસ આંદોલન છેડ્યું છે. આ આંદોલનના સમર્થનમાં વડતાલના વેપારીઓએ સાેમવારે સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખ્યાં હતાં. વડતાલમાં તમામ બજારો જડબેસલાક બંધ રહ્યાં હતાં. આ આંદોલનમાં ઉપવાસ પર બેઠેલાં ત્રણ મહિલાઓની તબીયત પણ સોમવારે લથડતાં દોડધામ મચી ગઈ હતી. ત્રણેણ મહિલાઓને વડતાલની સ્વામિનારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ સંદર્ભે ઉપાવસ આંદોલન સમિતિના વ્યવસ્થાપક ઉમેશભાઇ અમીને જણાવ્યું હતું કે ‘સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ દ્વારા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટી બોર્ડ અને તાબાના મંદિરોમાં હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારવાના વિરોધમાં સુરત સહિત અન્ય સ્થળોઅે ઉપવાસ આંદોલન છેડાયું છે. શનિવારથી વડતાલ મંદિર સામે પણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આમરણાંત ઉપવાસ આંદોલનમાં 15 ભાઇઆે અને 15 બહેનો જોડાયાં છે.
પ્રતિક ઉપવાસ આંદોલનમાં અનેક સત્સંગી ભાઇઓ-બહેનો જોડાયાં હતાં. આ આંદોલનના સમર્થનમાં વડતાલના વેપારીઓ સોમવારે પોતાના ધંધો-રોજગાર સ્વયંભૂ બંધ રાખ્યાં હતાં. વડતાલના સ્ટેશન રોડ, મંદિર વિસ્તાર સહિત ગામની તમામ દુકાનો બંધ રહી હતી. વડતાલ જડબેસાલક બંધ રહેતાં બજારો સૂમસામ બની ગયાં હતાં. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપવાસ આંદોલનમાં ત્રણ મહિલાઓની તબીયત સોમવારે લથડી હતી, જેમાં મંજુબહેન રમેશભાઇ વાહોલિયા (ઉવ.45, રહે.સુરત), ગીતાબહેન ઘનશ્યામભાઇ વાહેલિયા (ઉ.વ 35, રહે. સુરત) અને મંજુબહેન ભાનુભાઇ વકેરિયા (ઉ.વ.46, રહે. સુરત)નો સમાવેશ થાય છે. આ ત્રણ મહિલાઓને સારવાર અર્થે વડતાલની સ્વામિનારાયણ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જોકે, ગીતાબહેનની તબીયત વધુ લથડતાં તેઓને કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સુધી હરિભક્તોની માગ નહીં સ્વીકરવામાં આવે ત્યાં સુધી આંદોલન જારી રહેશે.
3 મહિલાની તબીયત લથડી
મંજુબહેન રમેશભાઇ વાહોલિયા, રહે. સુરત
ગીતાબહેન ઘનશ્યામભાઇ વાહેલિયા, રહે. સુરત
મંજુબહેનભાનુભાઇ વેકરિયા, રહે. સુરત
સ્વયંભૂ બજાર બંધ રહ્યું હતું
વડતાલ સત્સંગી સમાજ તેમજ ગામના વેપારી હરિભક્તો દ્વારા આંદોલનના સમર્થનમાં વડતાલની બજારો સ્વયંભૂ બંધ રખાઈ હતી. સવારથી બજારમાં એક પણ દુકાન ખુલી નોહતી. ગામમાં બજાર બંધ રહેતાં સન્નાટો છવાઇ ગયો હતો.’ > રમણભાઇ પરમાર, સરપંચ, વડતાલ.