Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદવાસીઓ હવે નશીલા પદાર્થ પીને માર્ગો પર વાહન ચલાવતા ચેતજો
જો તમે કોઈ નશાકારક પદાર્થનું સેવન કરો છો તો હવે ચેતી જજો. અને તેમાં પણ પદાર્થનું સેવન કર્યા બાદ જો તમે વાહન ચલાવતા હોય તો હવે તમારી ખેર નથી. કારણ કે, તાજેતરમાં આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજયાણ દ્વારા આણંદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં નશીલા પદાર્થ પીને વાહન ચલાવનારા વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહીના આદેશ આપતો પરિપત્ર જારી કરાયો છે. નોંધપાત્ર બાબત તો એ છે કે, સારી કામગીરી કરનારાને પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવશે.
જિલ્લા પોલીસ વડાએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, જાહેર માર્ગો પર નશીલા પદાર્થ પીને વાહન હકારતા વાહન ચાલકો પોતાના તથા બીજાના જીવ જોખમમાં મૂકે છે. જેને કારણે ગંભીર પ્રકારના અકસ્માત થવાની સંભાવના છે. રાજ્ય સરકારની નશાબંધીની સ્પષ્ટ નીતિ અમલમાં છે ત્યારે નશીલા પદાર્થના સેવન પર અંકુશ આવે અને નશીલા પદાર્થ પીને વાહન ચલાવતા વાહન ચાલકો અંકુશમાં રહે તે હેતુસર મોટલ વ્હીકલ એક્ટ 185 અંતર્ગત તમામ પોલીસ મથકના કર્મીઓને તેમના વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાના આદેશ કરાયા છે. આવા અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહન મળી રહે તે મટે દર ફરિયાદ દીઠ રૂપિયા 100નું ઈનામ આપવામાં આવશે. માસિક 20થી વધુ કેસ કરનારા અધિકારી-કર્મચારીને રૂપિયા 500નું ઈનામ પણ આપવામાં આવશે. વધુમાં તેમની સેવાપોથીમાં નોંધ પણ કરાશે. આ રકમ સરકારી ફંડમાંથી આપવામાં આવશે.
જિલ્લા પોલીસ વડાએ તમામ જિલ્લા પોલીસ મથકોમાં પરિપત્ર જારી કર્યો