અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક આગામી 10થી 12 દિવસ સુધી રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેશે. આ દરમિયાન હાર્દીક આગામી સમયમાં શું કાર્યક્રમો નક્કી કરવા તેની રૂપરેખા ઘડશે તેમજ પોતાના પરિવાર સાથે પણ સમય વિતાવશે. આ માટે તેનો પરિવાર ઉદેપુર ખાતે તેની સાથે રહેશે. તો બીજી તરફ ‘પાસ’ની કોર કમિટિના સભ્ય ચિરાગ અને કેતન હાર્દિકને સલાહ આપી છે કે ‘પાસ’ની કોર કમિટીની નવરચના કરવામાં આવે.
સમાજના હિત માટે કડક પગલાં લેવા પડે તેવી સ્થિતિ
આ અંગે કેતન પટેલનું કહેવું છે કે ‘જ્યાં સુધી હું, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા અને હાર્દિક જેલમાં હતા ત્યાં સુધી પાટીદાર આંદોલનને જીવંત રાખવા માટે અમે જે કોર કમિટી તેમજ અન્ય પદાધિકારીઓની નિમણૂકો કરી હતી તે તત્કાલીન સમય માટે યોગ્ય હતી. હવે જ્યારે અમે જેલની બહાર છીએ ત્યારે ‘પાસ’ની કોર કમિટી અને અન્ય હોદ્દાઓ પરની નિમણૂકોની નવેસરથી જાહેરાત કરવી જરૂરી થઈ જાય છે. છેલ્લા 6 મહિનામાં જે વ્યક્તિઓને જે જવાબદારી સોંપેલી હતી તે જવાબદારી જે-તે વ્યક્તિએ કેટલી સમાજનિષ્ઠાથી નિભાવી છે તેનું આંકલન કરવું ખૂબજ જરૂરી છે. કારણ કે આંદોલનની આડમાં કોઈ પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવાનો પ્રયત્ન તો નથી કરતું ને, તે જોવું ખૂબ જ જરૂરી છે.આથી જ તમામ પદાધિકારીઓની વર્તણૂકનું આંકલન કરીને તમામ કન્વીનરોની ઉદેપુર ખાતે એક બેઠક બોલાવવામાં આવે તેવી સલાહ કેતન અને ચિરાગે હાર્દિકને આપી છે. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ અથવા સ્કાઈપથી વાતચીત કરાશે. કેતન અને ચિરાગનું કહેવું છે કે આંદોલનને તેની મંઝીલ સુધી પહોંચાડવા, સમાજના હિત માટે કડક પગલાં લેવા પડે તેવી સ્થિતિ છે.