અમદાવાદ : ઉનામાં દલિતો સામે થયેલા અત્યાચાર મામલે રાજ્યભરમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન, રેલીઓ, સભાઓ અને ધરણાના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. રાજ્યના પોલીસવડા પી.પી.પાંડેએ તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષકોને હિંસા અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા લોકો સામે કાર્યવાહી કરી કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. હિંસા દરમિયાન પોલીસે કરેલી વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો પુરાવા તરીકે ઉપયોગ થશે.
બુધવારના બંધમાં જાહેર મિલકતને 5 લાખનું નુકસાન
એક વર્ષ અગાઉ પાટીદારોએ આપેલા બંધમાં સરકારી પ્રોપર્ટીની તોડફોડ અને આગચંપીથી કોર્પોરેશનને 11.43 કરોડનું નુકસાન થયું હતું. દલિતોના બંધ દરમિયાન બુધવારે તોડફોડમાં જાહેર મિલકતોને પાંચ લાખનું નુકસાન થયું હતું. દલિતોએ આપેલા બંધ દરમિયાન બુધવારે એએમટીએસની 12 થી 15 બસો ઉપર પથ્થરમારો અને તોડફોડ કરી હતી.
ડીજીપીએ જાહેર મિલકતને નુકસાન કરનારા સામે કડક પગલાંનો તમામ પોલીસ કમિશનરને આદેશ આપ્યો
એક વર્ષ પહેલા ઓગસ્ટ મહિનામાં પાટીદારોના બંધ વખતે ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં બીઆરટીએસના કુલ 22 સ્ટેન્ડ સળગાવી દેવાયા હતા. એએમટીએસની 29, બીઆરટીએસની 4 બસો પણ સળગાવાઈ હતી. જ્યારે 18 બસોમાં તોડફોડ થઈ હતી. ચાંદખેડા, ગોતા, ઘાટલોડિયાની વોર્ડ ઓફિસ, નિકોલની સબ ઝોનલ ઓફિસ, નિકોલ, વસ્ત્રાલ વોર્ડ ઓફિસ સહિતની ઓફિસોમાં તોડફોડ કરાઈ હતી.
માધુપુરા અને અમરાઈવાડીમાં ટોળા સામે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને રાયોટિંગનો ગુનો : બુધવારના બંધ દરમિયાન ટોળાએ શાહપુરમાં 4 બસોના કાચ તોડ્યાં હતા. જ્યારે અમરાઈવાડીમાં પથ્થરમારો કરી પબ્લિક પ્રોપર્ટીને નુકશાન કર્યું હતું. ત્યારે બંને ઘટનામાં પોલીસે મોડી રાતે 400થી વધુના ટોળા સામે પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ રાયોટિંગ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આગળ વાંચો બંધનું એલાન આપનાર પાસેથી દંડ વસૂલી શકાય છે, લોકોની સલામતી જાળવવી સરકારની જવાબદારી છે