ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર્સ કે જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન નથી કર્યું તેમણે સોનોગ્રાફી કરવા માટે ટ્રેનિંગ લેવી અથવા તો પરીક્ષા આપવી પડશે તેવા નવી કાયદાકીય જોગવાઇના અમલ સામે હાઇકોર્ટે અગાઉ આપેલો સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે. પરિણામે હવે આવા તબીબોએ ફરજિયાત રીતે પરીક્ષા આપવી પડશે અથવા તો તાલીમ લેવી પડશે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી 17મી પર મુલત્વી રાખી છે.
ડો. અજયકુમાર રામાણી તથા અન્યોએ એડવોકેટ વિરાટ પોપટ મારફતે કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતીકે, પીસી-પીએનડીટી એક્ટ રૂલ-6માં કેન્દ્ર સરકારે સુધારો કરી ગાયનેકોલોજિસ્ટ માટે પણ સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા પહેલા 6 મહિનાની ટ્રેનિંગ લેવાની રહેશે. તે ઉપરાંત તેમણે પરીક્ષા આપવાની રહેશે. જોકે દિલ્હી, હિમાચલપ્રદેશ, ચંદીગઢ અને પટના હાઇકોર્ટે આ સુધારાને રદ્ ઠેરવ્યો હતો. જેથી ગુજરાતમાં પણ આ જોગવાઇને ગેરકાયદે ઠેરવવા માગ કરાઇ હતી. વધુમાં એવી પણ રજૂઆત કરાઇ હતીકે, તમામ અરજદાર ગાયનેકોલોજિસ્ટ છે અને એમબીબીએસ કરી લાંબા સમયથી તેઓ પ્રેક્ટીસ કરે છે. તેઓ રજીસ્ટર્ડ પ્રેક્ટીસનર છે. ત્યારે તેમને સોનોગ્રાફીના વિષયનો ફરીથી અભ્યાસ કરવાની આવશ્યકતા નથી. જોકે સુનાવણી બાદ હાઇકોર્ટે અગાઉ આપેલો વચગાળાનો સ્ટે હટાવી લીધો હતો.