- Gujarati News
- National
- Ahmedabad News Instead Of Nadiad A Man Who Reached Maninagar Died On The Way To Get Off The Tray 055114
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદના બદલે મણિનગર પહોંચેલા યુવકનું ચાલુ ટ્રેને ઊતરવા જતાં મોત
મૂળ નડિયાદના અને હાલમાં વડોદરામાં રહેતાં 37 વર્ષીય યુવકનું મણિનગર પાસે ટ્રેનમાંથી પડી જવાથી મોત નિપજ્યું હતું. યુવકને બે દિવસ પહેલા વડોદરામાં નોકરી મળી હતી, શનિ-રવિ રજા હોવાથી તે વડોદરાથી ટ્રેનમાં નડિયાદ પરત આવી રહ્યો હતો. જોકે ઊંઘ આવી જતાં તે નડિયાદના બદલે મણિનગર પહોંચી ગયો હતો. ઊંઘમાંથી જાગી ઉતાવળમાં નીચે ઊતરવા જતાં તેનો પગ લપસી જતાં નીચે પટકાયો હતો, જેમાં ગંભીર ઈજા થતાં તેમનું મોત નીપજ્યું હતું.
નડિયાદના રહેવાસી અને છેલ્લા એકાદ વર્ષથી વડોદરામાં રહેતા અમિત અશ્વિનભાઇ પંડ્યા (ઉં.વ.37) શનિવાર - રવિવારની રજાના દિવસે માતા-પિતાને મળવા નડિયાદ આવી રહ્યા હતા. તેઓ વડોદરાથી ગુજરાત ક્વિન ટ્રેનમાં નડિયાદ આવવા બેઠા હતા. તેઓને ઝોકું આવી જતાં ગાડી નડિયાદ સ્ટેશનથી ઊપડી ગઇ હતી. અમદાવાદ નજીક આવવા આવ્યું ત્યારે એકાએક અમિતની ઊંઘ ઊડી અને તેણે સામેના પ્લેટફોર્મ પર નડિયાદ તરફ જતી ટ્રેન જોઇ હતી. આથી ઝડપથી ઊતરી બીજી ટ્રેનમાં બેસવા માટે તે ઊતાવળે ટ્રેનમાંથી ઊતરવા ગયા હતા. ટ્રેનમાથી ઊતરવા જતા જ તેઓ જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા થતાં સામાજિક કાર્યકર હર્ષદ પટેલે તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
અમિત પંડ્યા
માતાને છેલ્લો ફોન કરી કહ્યું, ‘હું આવું છું’
પરિવારના જણાવ્યા મુજબ, અમિતે નડિયાદ ઘરે આવી રહ્યા હોવાની માતાને ફોનથી જાણ કરી હતી, આથી માતા પુત્ર અમિત થાકીને આવશે એટલે નાહીને ફ્રેશ થશે એમ વિચારીને તેના કપડાં તૈયાર રાખ્યાં હતાં તેમજ રસોઇ પણ બનાવી દીધી હતી. જોકે દીકરો તો નહીં પણ તેના મૃત્યુના સમાચાર આવતાં જ માતા ભાંગી પડ્યાં હતાં.