Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિદ્ધપુરમાં આજે ગજરાજ પર શિવજીની શાહી સવારી નીકળશે
ભાસ્કર ન્યૂઝ.સિદ્ધપુર
ગુરુવારે મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર તેમજ સિદ્ધપુર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગજરાજ પર શિવજીની શાહી સવારી નીકળશે. સ્વયંભૂ બ્રાંડેશ્વર, વાલકેશ્વર, સિદ્ધેશ્વર, નિલકંઠેશ્વર થઇ યાત્રા શહેરની પરીક્રમા કરશે. જેના ભાગરૂપે બુધવારે રાત્રે નાની પાલખીયાત્રા કાઢી શહેરીજનોને નિમંત્રણ અપાયું હતું. શુક્રવારે રાત્રે સંતવાણી તેમજ લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.
પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકર તેમજ ચીફ ઓફિસર અશોકભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, સ્વયંભૂ શિવાલયો સહિત શિવમંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ર લાખની ગ્રાન્ટ મળી છે. શિવજી ગજરાજ ઉપર બિરાજમાન થઇ બ્રાંડેશ્વર, વાલકેશ્વર, નિલકંઠેશ્વર તેમજ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરોમાંથી શહેરમાં નિયત કરેલ રાજમાર્ગો પર યાત્રા નીકળશે. બિંદુ સરોવર ખાતે હરીહર મિલન યોજાયા બાદ યાત્રા આગળ વધશે. મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાંઓ વિવિધ વસ્ત્રો પરીધાન કરી મોટી સંખ્યામાં અશ્વો સાથે યાત્રામાં જોડાશે.પાલિકા સેનેટરી વિભાગના મહેન્દ્રભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, બુધવારે ૧૬૦ સફાઇ કામદારોની આઠ ટીમો બનાવી બ્રાંડેશ્વર, નદી રોડ, બિંદુ સરોવર સહિત રાજમાર્ગોમાં સફાઇ ઝુંબેશ તેમજ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.