ભુજ: ભુજમાં એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ નામની સંસ્થા અને સ્થાનિકની હુન્નરશાળાના સંકલનથી શ્વાનોના રસીકરણ અને ખસીકરણનો એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સ્થાનિક સ્તરેથી જય અંજારીયા અને ધવલ રાવલને આ પ્રોજેક્ટમાં સંયોજક તરીકેની કામગીરી સોંપાઇ છે. ભાસ્કરે જ્યારે તેમની સાથે આ મુદ્દે વાત કરી તો તેમણે જણાવ્યું કે, 16મીથી 19મી જુલાઇ સુધી ચાલનારા આ પ્રાથમિક સ્તરીય કાર્યક્રમમાં અત્યારે 50 જેટલા શ્વાનોને પસંદ કરાયા છે.
તેમને અલગ-અલગ પ્રકારની 9 જેટલી રસીઓ દેવામાં આવશે જેથી હડકવા સહિતના કોઇ રોગો ન થાય ઉપરાંત અંદરોઅંદરની લડાઇ થકી જે ઘાવ પડતા હોય છે તેમાં પણ કીડા પડવાની સંભાવના દૂર થાય. ત્યારબાદ તેમનું ખસીકરણનું ઓપરેશન પણ કરવામાં આવનાર છે જેથી વર્તમાન પેઢીને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર તેમની વસતીને યોગ્ય સ્તરે નિયંત્રિત કરી શકાય.
સંસ્થાના મુખ્ય તબીબ ડો. શૈલેન્દ્રના નેજા હેઠળની 4 ટીમો આ કામગીરી પૂરી પાડશે. ખસીકરણ માટે તેઓ 3 માસથી ઉપરના નર કે માદા કૂતરાઓની પસંદગી કરશે. આ તમામ સારવારનો ખર્ચ પ્રતિ કૂતરા મુજબ 3000 જેટલો થાય પરંતુ હાલ તો સંસ્થાના તબીબો માત્ર 800 રૂા. જ રાહતદરે ચાર્જ કરે છે. આ ટીમ 19મી પછી પણ બે દિવસ સ્થાનિકે રહી દવાઓની અસર ચકાસશે.