ભુજ: ભુજ તાલુકાના ખાવડા-ભીરંડિયારા રોડ વચ્ચે વેકરિયાના રણ નજીક 35થી 40 વર્ષીય પાગલ યુવાનને કૂતરાઓએ ફાડી ખાતાં આ ઘટનાની સ્થાનિકોને જાણ થતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં ભોગગ્રસ્તે કણસતી હાલાતમાં અંતિમ શ્વાસ લીધો હતો. ખાવડા રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી માનસિક અસ્વસ્થ યુવાન ભટકતો હતો, જેને ભુજ લઇ ગયા બાદ ફરી આ વિસ્તારમાં પહોંચી આવ્યો હતો, ખાવડા-ભીરંડિયારા રોડ પર ભટકતા આ પાગલ યુવાનને મંગળવારે સાત વાગ્યાની આસપાસ વેકરિયા રણ નજીક જંગલી કૂતરાઓએ હુમલો કરી તેના શરીરને છૂંદી નાખ્યું હતું.
પોલીસ આવવા પહેલાં પીડિતે કણસતાં જીવ છોડ્યો
આ ઘટનાની જાણ ભીરંડિયારા ગામના અગ્રણી મુસાભાઇ રાયશી સહિત અન્ય લોકોને સ્થળ પર દોડી ગયા હતા, ત્યારે પાગલ યુવાન પીડામાં કણસતો હતો. એકઠા થયેલા લોકોએ તરત ભીરંડિયારા ઓપીના જમાદારને ફોન કરી તાત્કાલિક બોલાવ્યા હતા, પોલીસ ઘટનાસ્થળ પહોંચે તે પહેલાં ભોગગ્રસ્ત યુવાને દમ તોડી દીધો હતો. કૂતરાઓના શિકાર બનેલા યુવાનને ખાવડાના સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ખાવડા પીએસઆઇ એમ.કે. ચૌધરીનો સંપર્ક સાથવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.