પોરબંદરના બરડા જંગલમાં લાયન જીનપુલ સેન્ટરમાં તાજેતરમાં જ જન્મેલ
પોરબંદરના બરડા જંગલમાં લાયન જીનપુલ સેન્ટરમાં તાજેતરમાં જ જન્મેલ 2 સિંહબાળના માત્ર 2 દિવસમાં જ મોત નિપજ્યા છે. બરડા જંગલને સરકાર દ્વારા અભ્યારણ્ય તરીકે જાહેર કરાયા બાદ અહીં ગીરના સિંહોના વૈકલ્પિક નિવાસની વ્યવસ્થા કરવાના આશયથી લાયન જીનપુલ સેન્ટર તૈયાર કરાયું હતું અને આ જીનપુલમાં વિધીવત રીતે 2 સિંહોની જોડને લઈ આવવામાં આવી હતી. સિંહોને ગીરના જંગલ જેવું જ કુદરતી વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરોડો રૂપીયાના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બરડા અભ્યારણ્યમાં સાતવીરડા ખાતે આવેલ લાયન જીનપુલમાં એ-વન સિંહ અને સરિતા નામની સિંહણનું મેટીંગ થયું હતું હતું ત્યારબાદ ગર્ભવતી બનેલી સરિતા નામની સિંહણે ગત તા. 1 એપ્રિલના રોજ 2 સિંહબાળને જન્મ આપ્યો હતો. સિંહબાળ જનમ્યા તે સમયે વનવિભાગના અધિકારીઓએ પણ એવું જણાવ્યું હતું કે બન્ને સિંહબાળ તંદુરસ્ત અને સ્વસ્થ છે તથા તેમના પર સતત મોનીટરીંગ કરી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વેટરનરી તબીબ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સિંહબાળ અને સિંહણની સતત દેખરેખ રાખતા હતા. છતાં પણ સિંહબાળ જનમ્યાને માત્ર 2 દિવસમાં જ એટલે કે તા. 3 એપ્રિલના રાત્રે બન્ને સિંહબાળના મોત નિપજ્યા છે.