જયેશ ભટ્ટ|ધ્રોલ
ધ્રોલતાલુકાનાં નાના એવા હજામચોરા ગામનાં એક પટેલ વૃધ્ધ કોઇપણ જાતની પ્રસિધ્ધીની અપેક્ષા વિના ગામમાં લગભગ છેલ્લા સતર વર્ષથી અંદાજે છસો થી સાતસો જેટલા વૃક્ષો વાવીને એકલા હાથે સ્વમહેનતે જતન કરી પાણી પાઇને વૃક્ષોનો ઉછેર કર્યો છે.
ધ્રોલ તાલુકાનાં અંદાજે ત્રણેક હજારની વસ્તી ધરાવતા હજામચોરા ગામમાં પ્રવેશતાની સાથે રસ્તા પર તેમજ ગામનાં પાદરમાં સ્મશાનમાં અને ગામનાં ખુણે ખુણે વૃક્ષોની હરિયાળી જોવા મળે જાણે કે આખું ગામ હરિયાળુ હોય. ગામની હરિયાળીનો યશ ગામનાં ૮૨ વર્ષની ઉંમર પણ તંદુરસ્ત વૃધ્ધ ખેડૂત પસીયાબાપા ઉર્ફે પરસોતમભાઇ હીરાભાઇ ભીમાણીનાં ફાળે જાય છે.પસીયાબાપાએ નિસ્વાર્થ રીતે વર્ષોથીભરી ને છોડને પાણી પાઇ તેમજ કોઇ નુકશાન પહોંચાડે તેનું ધ્યાન રાખી વૃક્ષોનો ઉછેર કર્યો છે.
વૃક્ષો પ્રત્યેની અનન્ય લાગણીને કારણે પરસોતમબાપાએ ગામનાં પાધરમાં તેમજ હજામચોરા જવાનાં રોડની બંને સાઇડોમાં અંદાજે ૪૦૦ જેટલા સ્મશાન તેમજ આજુબાજુમાં ૨૦૦ જેટલા તેમજ અન્ય જગ્યાએ મળી અંદાજે સાતસો જેટલા લીમડા, વડ, આંબલી, પીપળા, જાંબુડી, પીપર, બીલી, નીલગીરી, આંકડો, પારસપીપળો, ઉંબરો જેવા વિવિધ વૃક્ષો વાવ્યાં છે. ગ્રામપંચાયતે તેમને નાના છોડને પશુઓ નુકશાન પહોંચાડે તેમાટે પાંજરાની તેમજ વૃક્ષોનાં છોડની વ્યવસ્થા કરી આપી હતી.
બાદ ગામનાં અવેડામાંથી ઢોળાતુ તેમજ વેસ્ટેજ પાણી વૃક્ષ સુધી સ્વમહેનતે ધોરીયા કરી પહોંચાડયું હતું. જયાં તે પાણી પહોંચે ત્યાં જાતે ડોલ ઉંચકીને વૃક્ષોને પાણી પાઇ ઉછેર્યા છે.