અમદાવાદ: ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે સોમવારે સોશિયલ સાઈટ દ્વારા પોતાને મુખ્યપ્રધાનની જવાબદારીમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી. બુધવારે સવારે દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠકમાં આનંદીબહેનની વિનંતીનો સ્વીકાર થયો. સાંજે પાંચ વાગ્યે આનંદીબહેને રાજ્યપાલ ઓ પી કોહલીને પોતાનો રાજીનામાપત્ર સુપરત કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત સહિત દિલ્હીમાં પણ આનંદીબેનના રાજીનામા અંગે ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં પણ ગુજરાતના રાજકારણને લઈને ખાસી એવી ચર્ચા ચાલી રહી છે. નરેન્દ્ર મોદીની જેમ નરેન્દ્ર મોદીની જેમ મહેસાણા જિલ્લા સાથે આનંદીબેન પટેલ પણ નાતો ધરાવે છે. દિવ્યભાસ્ક ડોટ કોમ આજે તમને તસવીરો સાથે આનંદીબેનના ઉત્તર ગુજરાત સાથેના સંબંધની થોડી માહિતી આપી રહ્યું છે.
વિસનગર સાથે શું છે નાતો!
ઉત્તર ગુજરાતનાં નાનકડા એવા ખરોડ ગામનાં અને ખેડૂત પરિવારમાં જન્મેલાં આનંદીબહેન પટેલના પિતા ગામની સીમમાં આવેલ ફાર્મહાઉસમાં રહેતા હતા. જ્યાં આનંદીબેનનો જન્મ થયો હતો. નાનપણથી જ આનંદીબેન શિક્ષણમાં તેજસ્વી હતા. તેમણે ધોરણ 1થી 7 સુધીનો અભ્યાસ ગામની પ્રાથમિક શાળામાં કર્યો હતો. જ્યારે વધુ અભ્યાસ પિલવાઇ ખાતે કર્યો હતો.આનંદીબેન શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃર્તીઓમાં પણ રૂચી ધરાવતા હતા, જેમણે શિક્ષણમાં એમ.એમ.સી. એમ.એડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
વિજાપુર તાલુકાનું ખરોડ આનંદીબેનનું પિયર અને વિસનગરનું કડા સાસરી થાય. તેઓ વિસનગરમાં પણ રહેલાં. અહીં તેમણે નારી ઉત્થાનનું કામ કરેલું. પતિ સાથે લગ્ન બાદ આનંદીબેન તેમની સાસરી વિસનગર તાલુકાના કડામાં આવ્યા હતા. જ્યાં કડામાં થોડાક વર્ષો રહ્યા હતા. તેમના પતિની નોકરી વિસનગર ખાતે હોવાથી શહેરના દરબાર રોડ ઉપર આવેલ લાલના ખાંચા વિસ્તારમાં રહેતા હતા. તેઓ તે સમયે એક ગૃહિણી તરીકે જીવન જીવતા હતા. પતિ મફતલાલ પટેલ વિસનગરની નૂતન સ્કુલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા.
આનંદીબેનને પણ કામ કરવાની ઇચ્છા થતાં શહેરમાં મહેસાણાના મહિલા ધારાસભ્ય સ્વ.શાંન્તાબેન પટેલ દ્વારા બનાવાયેલ વિસનગર ખાતે ચાલતા મહેસાણા વિકાસ ગૃહમાં નોકરી શરૂ કરી હતી. જેમાં મહિલાઓના પ્રશ્નો સાંભળી તે પશ્રો શાંતાબેન સમક્ષ લઇ જવાની કામગીરી કરતા હતા મહેસાણા વિકાસ ગૃહમાં તેમણે બાર મહિના સુધી કામગીરી કરી હતી. ત્યાર બાદ અમદાવાદ મોહીનીબા વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનની શિક્ષિકા તરીકે નોકરી લાગતાં તેઓ અમદાવાદ રહેવા ગયા હતા. વર્ષ 1967માં મોહિનીબા કન્યા શાળામાં શિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી. પહેલાથી કાર્ય કરવાની ક્ષમતાથી તેઓ મોહિનીબા કન્યા શાળાના આચાર્ય તરીકે બઢતી પામ્યા.
શિક્ષકા તરીકે સેવા આપી રહેલા આનંદીબેન ગુજરાત ભાજપમાં જોડાયા પછી પક્ષમાં કર્મનીષ્ઠાથી ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓનાં પણ દિલ જીતી લીધા હતા. ભાજપમાં જોડાયેલા આનંદીબેને નાના કદના નેતા અને મહિલા મોરચાથી ગુજરાતના સીએમ સુધીની સફર કરી છે. આ સફર દરમ્યાન તેઓએ અનેક મુશ્કેલી અને આપતીઓનો સામનો કર્યો છે. વર્ષ 1992માં શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવાનાં હેતુથી ભાજપ દ્વારા આયોજિત એકતા યાત્રામાં જોડાનાર એકમાત્ર મહિલા નેતા હતા.