ધાર્મિક માહાત્મ્ય: પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા.
ધીમે ધીમે જગ્યાનું મહત્ત્વ વધતું ગયું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું. દેવીદાસે આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.
દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી. એવામાં અમર મા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.
રસ્તામાં પરબધામે આ લોકો બપોરા(બપોરનું ભોજન) કરવા માટે રોકાયા હતા. અમરમા તેમના નણંદ સાથે પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ.
દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યાં. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યાં. આ જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા છે. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. ત્યારપછી સમય જતાં અમરમાએ પણ સમાધિ લીધી હતી.