Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે શ્રદ્ધા યોગ હતો ઃ ભરતભાઈ ભગત
મહાભારતના યુદ્ધના પ્રારંભે સ્વજનોના મોહમાં અર્જુન જ્યારે વિષાદગ્રસ્ત થાય ત્યારે શ્રીકૃષ્ણ સંસાર અને સંબંધનો મર્મ સમજાવતા ગીતાનો બોધ આપે છે. તેનો સાર એ કે પરમાત્મા એ શ્રદ્ધાની વસ્તુ છે. નરસિંહ મહેતાનો ભગવાન પ્રત્યે શ્રદ્ધાયોગ હતો. કથાકાર ભરતભાઈ ભગતે આ શબ્દો શુક્રવારે રૂઘનાથપુરામાં કહ્યાં હતા.
શુક્રવારે રૂઘનાથપુરામાં કુંવરબાઈનું મામેરૂ કથાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ભક્ત નરસિંહ મહેતાનું ચરિત્ર સમજાવતા કથાકાર ભરતભાઈએ કહ્યું કે ગીતા એ હારેલા અને થાકેલા લોકોના નવા જીવનનો સંચાર કરે છે. તેની સાથે સંસારના મોહ અને માયાના બંધનોથી દુર કરે છે. ભજન, ભાવ અને ભરોષો(શ્રદ્ધા) ભગવાનને પ્રિય છે. ભક્ત નરસિંહનું ચરિત્ર કહે છે કે ભગવાન પ્રત્યે પ્રેમ સ્વાર્થનો નહીં પરમાર્થનો હોવો જોઈએ. ભગવાનને બધી જ ખબર છે, તો સુદામાની પત્નીને મળ્યા વગર ઇચ્છા પૂર્ણ કરી હતી. ભાગવતમાં જ્યારે ઉત્તરાના ગર્ભને મારવા માટે અશ્વસ્થામાએ પ્રયત્ન કર્યો, ત્યારે ભગવાને ઢાલ બની તેને જીવનદાન આપ્યું. ત્યારબાદ ભગવાન તેને પુછે છે કે પાંડવો શક્તિશાળી છે, છતાં તું મારી પાસે કેમ આવી? ત્યારે ઉત્તરા કહે છે કે સાસુમા દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે પાંડવો નહીં, તમે તેમની રક્ષા કરી હતી. એની પ્રાર્થના સાંભળી આપે ચિર પૂર્યા હતા. એટલે તમારા પર સંપૂર્ણ ભરોસો હોવાથી તમારી પાસે આવી. ભરોષો જગતનો નહીં, જગદીશનો રાખો. કથાનો પ્રારંભ મહિલાઓની કળશયાત્રા સાથે કરાયો હતો. આજે કથામાં કુંવરબાઈના સગપણ અને લગ્ન અંગેના પ્રસંગો પર સત્સંગ કરાશે.