Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મનપાએ મધરાતે 62 દુકાન-4 ઓફિસને સીલ મારતાં વેપારીઓ દોડતા થઈ ગયા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|સુરત
સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગે ભાગા તળાવ, િસટીલાઇટ તથા અલથાણમાં ત્રણ કોમર્શીયલ કોમ્પલેક્ષને અપૂરતી ફાયર સેફટીના અભાવે સીલ મારી દેતા દુકાનદારો દોડતા થઇ ગયા હતા. ખાસ કરીને ભાગાતળાવના દુકાનદારો સવારે ફાયર વિભાગની ઓફિસે મોરચો લઇને આવ્યા હતા અને દુકાનોના સીલ ખોલવા અધિકારીઓ પર દબાણ કર્યું હોવાની માહિતી સાંપડી છે.
ચૌટા બજાર ભાગાતળાવમાં આવેલી હેમરત્ન શોપિંગ સેન્ટર ખાતે આવેલી વિવિધ પ્રકારની ૬૨ દુકાનો અને ૦૪ ઓફિસને અપુરતી ફાયર સેફટીની સુવિઘાનાં કારણો સીલીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ડિંડોલી ખાતે આવેલા રૂક્ષમણી પાર્ક ૨ની બાજુમાં અંબિકા મોટર્સને અપુરતી પૂરતા ફાયર સેફટીની સુવિધા હોય જેથી જાહેર સલામતીના ધ્યાને લેતા સીલીંગ કરાયું છે. સિટીલાઈટ રોડ ખાતે આવેલ હીરા પન્ના શોપીંગ સેન્ટર ને પણ સીલ કરી દેવાયું છે. આ ઉપરાંત અલથાણ ભીમરાડ કેનાલ રોડ, ખાતે આવેલા શિવ સોમેશ્વર એન્કલેવને અપુરતી ફાયર સેફટી જણાતા સીલ કરી દેવાયું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં ફાયર વિભાગ દ્વારા મધરાતે સિલિંગની કામગીરી કરવામાં આવે છે. જેથી ભાગતળાવ હેમરત્ન શોપિંગ સેન્ટરની તમામ દુકાનો સવારે સીલ જોઇને દુકાનદારો ફાયરની મુખ્ય કચેરીએ આવી ગયા હતા અને સિલિંગ ખોલવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. જો કે ફાયર સેફટી લગાડવાની બાંહેધરી આપ્યા બાદ જ સિલિંગ ખોલવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.