હત્યાના કેસમાં 4ને આજીવન કેદ
વરાછામાં જમીનના કબજા બાબતે થયેલા ઝઘડામાં યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો આ કેસમાં આજે સેશન્સ કોર્ટે આઠ આરોપીઓ પૈકી ચારને આજીવન કેદની સજા કરી હતી. આ કેસમાં એક કિશોર પણ હતો. જ્યારે ત્રણને નિર્દોષ જાહેર કરાયા હતા. સરકાર પક્ષે એપીપી અરવિંદ વસાયાએ દલીલ કરી હતી. કોર્ટે મરનારના પરિવારજનોને રૂપિયા 50 હજારનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
28મી એપ્રિલ, 2010ના રોજ ફરિયાદી રત્નેશ્વર, તેના મિત્ર રામબંસ સાથે એ.કે.રોડ પર ઊભા હતા ત્યારે સ્થાનિક મંદિરની મિલ્કતના કબજા બાબતે ચાલતી તકરારમાં ફરિયાદી અને રામબંસ પર આરોપી રવિન્દ્રસિંગ ઉર્ફે પુંજારી ઠાકુર સહિત ૮ જણાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રામબંસ તિવારીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક દંપતિ અને રામઓમકારને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સુનાવણી બાદ આજે ચારને આજીવન કેદની સજા કરાઈ હતી. જે આરોપીઓને સજા થઈ તેમાં રવિન્દ્રસિંગ, રણજીત સુભાષ ચૌધરી, સંજીત ચૌધરી,બીપીનકુમાર સમાવેશ થાય છે.