Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલાછ સબયાર્ડના નવિનીકરણથી ખેડૂતોને લાભ
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ વાંસદાના સબયાર્ડ, અંક્લાછનું લોકાર્પણ વલસાડ-ડાંગ મત વિસ્તારના સાંસદ ડો. કે.સી. પટેલના હસ્તે કરાયું હતું.
ગુજરાત સરકારની “કિસાન કલ્પવૃક્ષ યોજના’ હેઠળ બજાર સમિતિઓના આધુનિકરણ માટેની યોજના અંતર્ગત એપીએમસી વાંસદાને 27 લાખની સહાય આપવામાં આવી હતી. સંસ્થાએ પોતાના સ્વભંડોળમાંથી 48 લાખ રૂપિયા ખર્ચ કરી ઓફિસ ઓક્શન (હરાજી) શેડ સેનિટેશન, RCC રોડ, પાણીની સગવડ, પેવર બ્લોક વગેરેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને અતિથિ વિશેષ તરીકે વાંસદાના માજી ધારાસભ્ય છનાભાઇ ચૌધરી ઉપસ્થિત રહી સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. એપીએમસીના ચેરમેન ગણપતસિંહ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. સમારોહના અધ્યક્ષ ડો. કે.સી. પટેલે સબયાર્ડ અંકલાછના નવિનીકરણથી આ વિસ્તારના ખેડૂતોને તેનો ચોક્કસ લાભ થશે અને સરકારની ખેડૂતોની આવકોને બમણી કરવાના ઉદ્દેશ પાર પાડવા મદદરૂપ થશે એવી આશા વ્યક્ત કરી અને એપીએમસી વાંસદાને શુભેચ્છા પાઠવી હતી. એપીએમસી વાંસદાના ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકીએ લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ અધ્યક્ષ, અતિથિ અને આમંત્રિત મહેમાનોનો આભાર માન્યો હતો.
વાંસદા તાલુકાના અંકલાછ સબયાર્ડનું લોકાર્પણ કરતા મહાનુભાવો.