Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
SOUના પ્રોજેક્ટોનો વિરોધ કરનાર લખનને તડીપારના હુકમથી વિરોધ
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા મૂળ ભાવનગરના અને હાલ ગરુડેશ્વરમાં રહેતા લખન મુસાફિરને રાજપીપળા પ્રાંત અધિકારીએ 2 વર્ષ માટે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા અને તાપી એમ 5 જિલ્લા તડીપારનો હુકમ કર્યો છે. લખન સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા પ્રોજેક્ટો અને સરદાર સરોવર નર્મદા ડેમના મુદ્દે આદિવાસીઓને ગુમરાહ કરી સરકાર વિરુદ્ધ કાર્યક્રમો અને સૂત્રોચ્ચાર કરી ભયનું વાતાવરણ ઉભું કરતો હોવાનું પ્રાંત અધિકારીએ કારણ આપતાં આદિવાસીઓમાં રોષનો ચરુ ઉકળ્યો છે.
રાજપીપળા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીએ લખન મુસાફિરના તડીપાર હુકમ મામલે 12મી માર્ચે બપોરે 3 કલાકે સુનાવણી રાખી હતી. પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશ્વર દેસાઈ, રોહિત પ્રજાપતિ સહિત એક્ટિવિસ્ટો, 70 ગામના આદિવાસી આગેવાનો મુસાફિરની તરફેણમાં આવી પહોંચ્યા હતા. દરમિયાન રાજપીપળા પ્રાંત અધિકારી કે.ડી.ભગતે આગામી 9 એપ્રિલે સુનાવણી હાથ ધરવાનું જણાવતા રાજપીપળાના સર્કિટ હાઉસ ખાતે પહોંચી આદિવાસીઓ સાથે ચર્ચા કરી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તા મંડળ નોટિફિકેશન મામલે અમે સુપ્રીમમાં જઇશું : સુરેશ મહેતા
માજી મુખ્યમંત્રી સુરેશ મેહતાએ જણાવ્યું હતું કે સરદાર સાહેબ આજે ભૂલાઈ ગયા છે. ટુરિઝમના નામે ધનાઢયોને ખુશ કરવા સરકાર આદિવાસીઓનો ભોગ લઈ રહી છે. અધિકારીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રોજેક્ટો મામલે જમીનો ખાલી કરાવવા કઈ કરતા ન હતા જેથી મોદી એમનાથી નારાજ હતા. અધિકારીઓએ સરકાર પાસે સત્તા માંગી તો ગુજરાત વિધાનસભાનું ખાસ ત્રણ દિવસ માટે સત્ર બોલાવી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તા મંડળનો કાયદો બનાવાયો. આ કાયદો ગેરકાયદેસર છે. નોટિફિકેશન મામલે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ભવિષ્યમાં આ સરકાર સામે પણ લડીશુ.
25 વર્ષથી આદિવાસીઓના પથદર્શક બની અત્યાચારો સામે અવાજ ઉઠાવે છે
ગુજરાતના ભાવનગર જિલ્લાના રાજગઢના મૂળ વતની અને ગાંધીવાદી વિચારધારા ધરાવતા પર્યાવરણવાદી લખન મુસાફીરે નર્મદા જિલ્લાને કર્મભૂમિ બનાવી છે. છેલ્લા 25 વર્ષથી ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામમાં રહી સ્થાનિક આદિવાસીઓમાં ઓર્ગેનિક ખેતી, બાળકોનું શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તો આદિવાસીઓ પર થતા અત્યાચારો સામે પણ અવાજ ઉઠાવતા રહ્યા છે. આદિવાસીઓના પથદર્શક બન્યા છે. તેમને તડીપારના હુકમ થતાં આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાંત અધિકારીએ કહ્યું, લખન આદિવાસીઓને ગુમરાહ કરે છે