Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઠંડીની મોસમ જામી : જિલ્લામાં 20 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર
ભરૂચ જિલ્લામાં મોડે મોડે પણ ઠંડીઅે રંગત જમાવી છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ ધરતીપુત્રો રવિપાકની વાવણીમાં જોતરાઇ ગયાં હતાં. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 99 હજાર હેક્ટરમાં ખેડૂતોઅે વાવણી કરી દીધી છે. ત્યારે ઠંડીની મોસમ ઘઉં માટે ફાયદાકારક હોઇ અા વર્ષે 20 હજાર હેક્ટરમાં ખેડૂતોઅે ઘઉંનું વાવેતર કર્યું છે. જ્યારે 40 હજાર હેક્ટરમાં જિલ્લાનો મુખ્ય પાક ગણાતાં શેરડીનું વાવેતર કર્યું છે.
ભરૂચ જિલ્લામાં અા વર્ષે શિયાળાની શરૂઅાત મોડી થઇ હોવા છતાં અાખરે ઠંડીની મોસમની જમાવટ થઇ છે. ઉત્તરીય પવનો ફૂંકાતાં પંથકમાં શિતલહેરની અસર વર્તાઇ રહી છે. જેના કારણે ગઇકાલે શુક્રવાર 10.6 ડિગ્રી સાથે મોસમનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. શિયાળાની ઋતુમાં ખેડૂતો રવિપાકમાં જોતરાઇ જતાં હોય છે. અા વર્ષે ચોમાસામાં બે વાર થયેલી અતિવૃષ્ટીના કારણે ખેડૂતોની અાશ રવિ સિઝન પર નિર્ભર બની છે. ત્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 99 હજાર ઉપરાંત હેક્ટરમાં ધરતીપુત્રોઅે રવિપાકોનું વાવેતર કર્યું છે. જેમાં 20 ટકા જેટલું વાવેતર ઘઉંનું અને અન્ય 22 ટકા વાવેતર કઠોળનું થયું છે. જોકે ભરૂચ જિલ્લામાં શેરડી અને તૂવેર મુખ્ય પાક હોઇ અા વર્ષે 40 હજાર હેક્ટરમાં શેરડીનું વાવેતર કરાયું છે. જ્યારે તુવેરનું વાવેતર અા વર્ષે ઘટીને માત્ર 9,622 હેક્ટર જેટલું નોંધાયું છે.
ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં રવી સીઝનમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, શેરડી, શાકભાજી, કઠોળ તેમજ શેરડી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ડીસેમ્બર મહિનાના અંત સુધીમાં શિયાળાની બરાબર જમાવટ નહિ થતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. પરંતુ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે જિલ્લામાં તાપમાનનો પારો ગગડીને 10 ડીગ્રી જેટલો નીચે ચાલ્યો જતાં રવીપાકો માટે અનુકુળ વાતાવરણ ઉભું થતાં ખેડૂતોમાં અનોખી ઉર્જાનો સંચાર થયો છે.
જિલ્લાના 50% ખેડૂતો દ્વારા રવી પાકોનું વાવેતર
ભરૂચમાં કપાસ અને તુવેરના પાકો મુખ્ય છે પણ 40થી 50 ટકા ખેડૂતો રવિ પાકોનું વાવેતર કરતાં હોય છે. શિયાળાની મોસમ જામવાને કારણે ધરતીપુત્રો દ્વારા રવિપાકોના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે.
અસર શું | ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો
ભરૂચ જિલ્લામાં શિયાળાની જમાવટ થવાના કારણે ઘઉં અને ચણાના પાકને ફાયદો થશે. આ બંને પાક માટે 15 થી 17 ડીગ્રી જેટલું તાપમાન જરૂરી હોય છે. ઠંડી શરૂ થતાં ઘઉં અને ચણાનું વાવેતર કરતાં ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.
મુખ્ય વાવણીની વિગતો (વાવેતર હેક્ટરમાં)
તાલુકો ઘઉં કઠોળ શેરડી
અંક્લેશ્વર 2,075 12 7,700
હાંસોટ 1,650 102 11,180
ભરૂચ 1,290 8,885 4,100
વાગરા 2,510 9,530 00
અામોદ 1,315 3,800 60
જંબુસર 5,245 620 00
ઝઘડિયા 1,550 20 6,900
વાલિયા 2,050 80 6,100
નેત્રંગ 2,565 610 3,400