દેશમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ મળ્યા છે. આ બંને દર્દી કર્ણાટકના રહેવાસી છે. આ પૈકીના એકની ઉંમર 46 વર્ષ અને બીજાની ઉંમર 66 વર્ષના છે, જેઓ હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા. જ્યારે 46 વર્ષનો વ્યક્તિ એક સ્વાસ્થ્ય કર્મચારી છે. 66 વર્ષના વૃદ્ધ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે જેઓ સાઉથ આફ્રિકાથી દુબઈ થઈને ભારત પરત ફર્યા હતા, જેઓના 20 નવેમ્બરે એરપોર્ટ પર તેમના સેમ્પલ લેવાયા હતા. તેઓ કોરોના વેક્સિનનો બંને ડોઝ લઈ ચુક્યા ચે.
ઓમિક્રોનના જોખમ વચ્ચે દિલ્હીમાં એના જોખમી દેશોમાંથી વધુ 4 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરુવારે આ અંગેની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાવાની શક્યતા છે. હવે ઓમિક્રોનના 29 દેશમાં 373 કેસ મળ્યા છે. સરકારે આ અંગે કહ્યું હતું કે નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે.
તેમણે કહ્યું કે એક મહિનાથી દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જોકે ચિંતાનો વિષય એ છે કે 15 જિલ્લામાં હાલ પણ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. 18 જિલ્લામાં તે 5થી 10 ટકા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં જ હાલ 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે. દેશના 55 ટકાથી વધુ કેસ અહીં જ નોંધાયા છે.
હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું કે 49 ટકા વસ્તીને વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે. ઘરે-ઘરે જઈને વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. દેશમાં હાલ કોરોનાના 99763 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 9,765 નવા કેસ નોંધાયા છે.
દેશમાં કોરોના મુદ્દે અન્ય અપડેટ્સ...
કેન્દ્રીય આરોગ્યમંત્રીની રાજ્યો સાથે બેઠક
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ સાથે બેઠક કરશે. એમાં દેશના એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ અને સર્વેલન્સના ઉપાયો બાબતની સમીક્ષા કરવામાં આવશે. ગઇકાલે જ ભારતે વિદેશથી આવનારા મુસાફરો માટે નિયમોને કડક બનાવ્યા છે, ખાસ કરીને એ દેશો, જ્યાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે.
એક્ટિવ કેસ 1 જૂન 2020 બાદ પ્રથમ વખત 1 લાખથી ઓછા થયા
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ દોઢ વર્ષમાં એક લાખ કરતાં ઓછા થયા છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 99,753 છે. ગયા વર્ષે 1 જૂને 97,009 એક્ટિવ કેસ હતા, રિકવરી રેટ 98.35% છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના જોખમ વચ્ચે એક્ટિવ કેસમાં ઘટાડો થયાના રાહતના સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,765 નવા કેસ નોંધાયા છે, જ્યારે 477 લોકોએ કોરોનાને કારણે જીવ ગુણાવ્યા છે.તેમજ 8,548 લોકો સાજા થયા છે.
મોરિશિયસ અને લંડનથી મુંબઈ પરત આવેલા મુસાફરો કોરોના પોઝિટિવ
દેશમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટથી પરત આવનારા લોકોનો RT-PCR ટેસ્ટ કરવાની ગાઈડલાઇન્સ લાગુ થયા બાદ બુધવારે મુંબઈમાં ત્રણ મુસાફર પોઝિટિવ મળ્યા હતા. આ મુસાફરો મોરિશિયસ અને લંડનથી પરત ફર્યા હતા. આ સિવાય મંગળવારે આઈસોલેટ કરવામાં આવેલા વિદેશી પ્રવાસીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે.
આ ચાર કેસની સાથે હવે મુંબઈમાં નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના શંકાસ્પદ કેસની સંખ્યા પાંચ થઈ ગઈ છે. આ ચારેયના સેમ્પલ પણ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યાં છે.
દેશમાં કોરોના મુદ્દે અન્ય અપડેટ્સ
સીરમ ઇન્સ્ટિટ્યૂટે બૂસ્ટર ડોઝ તરીકે કોવિશીલ્ડ માટે DCGIની મંજૂરી માગી
પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII)એ ભારતમાં બૂસ્ટર ડોઝ તરીકે કોવિશીલ્ડ વેક્સિન માટે DCGI પાસે પરવાનગી માગી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દેશમાં વેક્સિનના પર્યાપ્ત સ્ટોક અને કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ સામે આવવાની આશંકાને કારણે બૂસ્ટર શોટ્સની માગ ટાંકવામાં આવી છે.
દેશમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI)ને કરાઈ છે અરજી
સીરમ ઇન્સ્ટિટ્યૂટના નિયામક મામલાના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે જણાવ્યું હતું કે યુકે મેડિકલ રેગ્યુલેટરીએ એસ્ટ્રાઝેનેકાની કોવિડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ પહેલેથી જ મંજૂર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કંપનીની વેક્સિનને ભારતમાં પણ મંજૂરી મળવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.