MPમાં લવ-જેહાદ બિલને કેબિનેટની મંજૂરી:ઉત્તર પ્રદેશ પછી મ.પ્રદેશમાં પણ લવ જેહાદ સામે કાયદો, બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારને પાંચ વર્ષ સુધીની કેદ

ભોપાલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરજી કર્યા વિના ધર્મપરિવર્તન કરાવનારા ધર્મગુરુ, કાઝી, મૌલવી અથવા પાદરીઓને પણ 5 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. - Divya Bhaskar
અરજી કર્યા વિના ધર્મપરિવર્તન કરાવનારા ધર્મગુરુ, કાઝી, મૌલવી અથવા પાદરીઓને પણ 5 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે.
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઘરે યોજાઈ હતી બેઠક, શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે

ઉત્તર પ્રદેશ પછી હવે મધ્ય પ્રદેશ કેબિનેટે પણ લવજેહાદ સામે ધર્મસ્વતંત્રતા વિધેયક-2020ને શનિવારે મંજૂરી આપી દીધી છે. આ અંગેનું વિધેયક 28 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં રજૂ કરાશે. બેઠક પછી રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારને 1થી 5 વર્ષ સુધીની કેદ તથા 25 હજાર સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. મહિલા, સગીર અને એસસી-એસટીના ધર્મપરિવર્તનના કિસ્સામાં દોષિતને 2થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે અથવા 50 હજારનો દંડ થઈ શકે છે.

દરમિયાનમાં ઉત્તર પ્રદેશમાં લવજેહાદ કાયદો લાગુ થવાને 1 મહિનો પૂરો થયો છે. આ દરમિયાન પોલિસે અલગ-અલગ સ્થળેથી લગભગ 35 લોકોની ધરપકડ કરી છે. લગભગ 1 ડઝન એફઆઈઆર નોંધાઈ છે. એટા, સીતાપુરમાં 7-7, ગ્રેટર નોઈડા અને કન્નોજમાં 4-4, આઝમગઢ-શાહજહાપુરમાં 3-3, મુરાદાબાદ-મુજફ્ફરનગર-બિજનોરમાં 2-2 અને બરેલીમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આ પહેલાં રાજ્યગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ કહી ચૂક્યા છે કે કાયદો કડક બનાવવો જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાયદો ઝડપી બનાવ્યો છે, શિવરાજ સરકાર પણ આ જ રસ્તે આગળ વધી રહી છે.

બિલના મુખ્ય મુદ્દા

  • લાલચ આપીને, ધમકી આપીને ધર્મપરિવર્તન કરવું અને લગ્ન કરવા બદલ 10 વર્ષની સજાની જોગવાઈ. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.
  • ધર્મપરિવર્તન કર્યા બાદ થનારા લગ્નના 2 મહિના પહેલાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ધર્મપરિવર્તન અને લગ્ન કરવા અને લગ્ન કરાવનારા બંને પક્ષોને લેખિતમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કર્યા વિના ધર્મપરિવર્તન કરાવનારા ધર્મગુરુ, કાઝી, મૌલવી અથવા પાદરીઓને પણ 5 વર્ષ સુધીની કેદની પણ જોગવાઈ છે.
  • ધર્મપરિવર્તન અને બળજબરીપૂર્વક લગ્નની ફરિયાદ પીડિત, માતાપિતા, પરિવારજન દ્વારા કરી શકાય છે.
  • જે લોકો મદદ કરે છે તેમને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે.
  • બળજબરીથી ધર્મપરિવર્તન અથવા લગ્ન કરાવનારી સંસ્થાઓની નોંધણી રદ કરવામાં આવશે.
  • આ પ્રકારના ધર્મપરિવર્તન અને લગ્ન કરાવનારી સંસ્થાઓને દાન આપનારી સંસ્થાઓ કે દાન લેનારી સંસ્થાઓની નોંધણી પણ રદ કરવામાં આવશે.
  • આ પ્રકારના ધર્મપરિવર્તન અને લગ્ન માટે મદદ કરનારા તમામ આરોપીઓ સામે મુખ્ય આરોપીની જેમ કાર્યવાહી કરવામાં આવશે.
  • પોતાના ધર્મમાં પાછા ફરવા પર તેને ધર્મપરિવર્તન માનવામાં આવશે નહીં.
  • પીડિત મહિલા અને જન્મેલા બાળકને ભરણપોષણનો અધિકાર મેળવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોપીએ જ નિર્દોષતાના પુરાવા રજૂ કરવાના રહેશે.

ઉત્તરપ્રદેશમાં પણ આરોપીને 10 વર્ષની સજા
ઉત્તરપ્રદેશમાં ખોટી રીતે ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો કાયદો અમલમાં આવ્યો છે. એને 28 નવેમ્બરના રોજ રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે એનું બિલ 24 નવેમ્બરના રોજ પાસ કર્યું હતું. યોગી આદિત્યનાથે વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કહ્યું હતું કે મહિલાઓને સુરક્ષા આપવાના હેતુથી રાજ્યમાં લવ-જેહાદ સામે કાયદો લાવવામાં આવશે. હરિયાણા, કર્ણાટક અને ભાજપશાસિત કેટલાંક અન્ય રાજ્યોમાં પણ આવા કાયદા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ દેશનું પહેલું રાજ્ય હતું, જ્યાં આ કાયદો પસાર કરવામાં આવ્યો. યુપીમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાની જોગવાઈ છે અને આ કાયદા હેઠળ વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે.