કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક કર્યાના થોડા દિવસ પછી ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ અનલોક કર્યુ છે. રાહુલ ગાંધીના એકાઉન્ટ બ્લોક થવા પર કેટલાક દિવસોથી ભારે રાજકારણ સક્રિય થયું હતું. કોંગ્રેસે ટ્વિટર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો, જોકે ટ્વિટરે સ્પષ્ટ કર્યુ હતું કે નિયમોનું ઉલ્લંઘન કરવા પર તેમનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવેલુ.
ટ્વિટરે કેમ કર્યું હતું એકાઉન્ટ બ્લોક
રાહુલ ગાંધીએ ઉત્તર-પશ્ચિમિ દિલ્હીમાં એક નવ વર્ષીય બાળકીની હત્યા બાબતે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન પીડિતા અને તેના પરિવારના સભ્યોની ઓળખાણ જાહેર કરી દીધી હતી. તેમની ઓળખાણ આપતી ટ્વિટ રાહુલ ગાંધીએ કરી હતી, અને આ ટ્વિટમાં રાહુલ ગાંધીએ પીડિત પરિવારની તસવીરો પણ જાહેર કરી હતી. ત્યાર પછી ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કર્યુ હતુ. ભાજપના નેતાઓ અને રાષ્ટ્રિય બાળ આયોગે આની ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માગ કરી તો ટ્વિટરે ના માત્ર રાહુલ ગાંધી પરંતુ કોંગ્રેસના ઓફિશિયલ એકાઉન્ટ સહિત આશરે 5 હજાર કોંગ્રેસ નેતાઓ-કાર્યકર્તાઓના એકાઉન્ટ બ્લોક કરી દીધા હતાં.
રાહુલ ગાંધીનું ટ્વિટર પર પક્ષપાતી હોવાનું નિવેદન
પાર્ટીના એક અધિકારીએ કહ્યું કે,'રાહુલ ગાંધીનું એકાઉન્ટ અનલોક કરી દેવામાં આવ્યું છે, સાથે બીજા નેતાઓના એકાઉન્ટ પણ અનલોક કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે શુક્રવારે ટ્વિટર પર રાષ્ટ્રીય રાજકીય પ્રક્રિયામાં દખલગીરી કરવાનો આરોપ મૂકતા સખત નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમનું હેન્ડલ બંધ કરવું એ દેશના લોકશાહી માળખા પર હુમલો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે હવે આ સ્પષ્ટ છે કે ટ્વિટર એ એક તટસ્થ, ઉદ્દેશપૂર્ણ મંચ નથી, આ એક પક્ષપાતપૂર્ણ મંચ છે, ટ્વિટર વર્તમાન સરકારની વાત જ માને છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.