સંસદ સત્રના ત્રીજા દિવસે બુધવારે એટલે આજે ભારે હંગામા પછી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષના નેતા જ્યાં અદાણી મામલે તપાસ માટે JPCની માગ ઉપર અડગ રહ્યા, ત્યાં ભાજપાના સાંસદ લંડનમાં આપેલાં રાહુલ ગાંધીનાં નિવેદન અંગે માફીની માગ કરી રહ્યા છે.
બીજી બાજુ, સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષના 16 નેતાઓએ બેઠક કરી. આજે જ રાહુલ ગાંધી વિદેશથી પાછા ફર્યા અને એકવાર ફરી અદાણીને લઇને કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું. ત્યાં જ, સત્ર સ્થગિત થતાં જ વિપક્ષના નેતા ED ઓફિસ ઉપર પ્રદર્શન માટે રવાના થયા જોકે, પોલીસે તેમને પહેલાં જ રોકી લીધા..11 વાગે સત્ર શરૂ થવાથી લઇને અત્યાર સુધી શું-શું થયું વિગતવાર જાણીએ....
ખડગેના સંસદ કાર્યાલયની ચેમ્બરમાં 16 દળના નેતાઓનું બેઠક સત્ર શરૂ થવાના અડધા કલાક પહેલાં એટલે સવારે સાડા 10 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સંસદ કાર્યાલયની ચેમ્બરમાં વિપક્ષના 16 દળના નેતાઓએ બેઠક કરી. જેમાં હિંડનબર્ગ-અદાણી રિપોર્ટની તપાસ માટે JPCની માગને લઇને સરકાર ઉપર દબાણ જાળવી રાખવા અંગે સહમતી બની. બધાં દળે એક સૂરમાં અદાણી મામલે સરકારની ચુપ્પી અંગે સવાલ કર્યો.
આ સિવાય બેઠકમાં એવું પણ નક્કી થયું કે અદાણી મામલાની તપાસને લઇને એક ચિઠ્ઠી લખવામાં આવશે, જેના ઉપર બધા જ સાંસદોની સહી હશે. તેને EDને સોંપવામાં આવશે અને તપાસની માગ કરવામાં આવશે. તેના માટે સંસદથી લઇને ED ઓફિસ સુધી ફૂટ માર્ચ કરવામાં આવશે. સત્ર સ્થગિત થતાં જ બધા માર્ચ માટે રવાના થયા. જોકે, પોલીસે કલમ 144નો હવાલો આપીને તેમને વિજય ચોક ઉપર જ રોકી લીધા. 20 મિનિટ સુધી વિજય ચોક પર જ પ્રદર્શન કર્યા પછી બધા નેતા પાછા ફર્યા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે સંસદમાં રાહુલ ગાંધીની હાજરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. બુધવારે સમાચાર આવ્યા કે રાહુલ વિદેશથી પરત ફર્યા છે. તેઓ આજે સંસદ સત્રમાં પણ હાજરી આપી શકે છે. થોડા સમય બાદ રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને ફરી એકવાર અદાણીના બહાને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.
રાહુલે લખ્યું- ભારતની મિસાઈલ અને રડાર અપગ્રેડનો કોન્ટ્રાક્ટ અદાણીની માલિકીની કંપની અને ઈલારા નામની શંકાસ્પદ વિદેશી સંસ્થાને આપવામાં આવ્યો છે. એલરાને કોણ નિયંત્રિત કરે છે? ભારતના વ્યૂહાત્મક સંરક્ષણ સાધનોનું નિયંત્રણ અજાણી વિદેશી કંપનીઓને આપીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં શા માટે કરવામાં આવે છે?
TMCએ જણાવ્યું કોંગ્રેસ સાથે ન આવવાનું કારણ
અદાણી મામલે અને ED-CBIની કાર્યવાહીને લઇને મમતા બેનર્જીની પાર્ટી TMCના સાંસદ કોંગ્રેસ અને વિપક્ષના અન્ય દળથી અલગ પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે TMC સાંસદ સુદીપ બંદ્યોપાધ્યાયે જણાવ્યું કે સત્તા પક્ષ હોય કે મુખ્ય વિપક્ષી દળ, બંને એકબીજાની વિરુદ્ધ છે. બંગાળમાં કોંગ્રેસ પાર્ટી ભાજપ અને CPM સાથે મળેલી છે, એટલે આપણે કોંગ્રેસ નેતાઓ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકોમાં સામેલ થઈ રહ્યા નથી.
ભાજપ રાહુલ ગાંધી પાસે માફીની માગ કરી રહી છે
છેલ્લા બે દિવસથી ભાજપ રાહુલ ગાંધીના કેમ્બ્રિજમાં આપેલાં નિવેદન અંગે માફીની માગ કરી રહી છે. જેના અંગે મંગળવારે કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે રાહુલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એવું કશું જ કહ્યું નથી કે જેના માટે માફીની જરૂર હોય. વડાપ્રધાને વિદેશોમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યાં છે. વિદેશોમાં આ પ્રકારની ચર્ચાઓની શરૂઆત ભાજપે કરી છે, કોંગ્રેસે નહીં.
અધીર રંજન ચોધરીએ કહ્યું- રાહુલ નહીં, સરકાર માફી માગે
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચોધરીએ મંગળવારે કહ્યું કે સરકાર સંસદ ચલાવવા ઇચ્છતી નથી. શું ક્યારેય એવું જોવામાં આવ્યું છે કે સત્તાધારી દળના બધા સભ્ય સંસદને રોકવા માટે હંગામો કરી રહ્યા હોય? તેમણે (કેન્દ્રને) માફી માગવી જોઈએ.
જયરામ રમેશે કહ્યું- ધ્યાન ભટકાવવાની કોશિશ થઈ રહી છે
કોંગ્રેસ નેતા જયરામ રમેશે મંગળવારે ટ્વીટ કરીને લખ્યું- મોદી સરકાર સંયુક્ત વિપક્ષને PM સાથે જોડાયેલા અદાણી મહાગોટાળા માટે JPCની માગ રાખવાની પણ મંજૂરી આપી રહ્યા નથી. જેનું પરિણામ છે કે સંસદમાં સતત મડાગાંઠ ચાલી રહી છે. આ એકમાત્ર મુદ્દો છે. બાકી જે કંઈ થઈ રહ્યું છે તે PM અને તેમના સહયોગીઓ ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.