ભારત અને ચીન વચ્ચે એલએસી ખાતે ફરજ પર હાજર આઈટીબીપીના 20 કર્મચારીઓને ગેલેન્ટરી એવોર્ડથી સન્માનિત કરવાનું જાહેર કરાયું છે. બંને દેશો વચ્ચેની અથડામણ દરમિયાન આ જવાનોએ બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું.
સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. વિવિધ કેન્દ્રીય અને રાજ્યના દળ માટે કેન્દ્ર દ્વારા કુલ 1380 મેડલની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં 2 રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 628 વીરતા માટે પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે 88 રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને પ્રશંસનીય સેવા માટે 662 પોલીસ મેડલની જાહેરાત કરાઈ છે.
ગલવાન ખાતે 15 જૂનના રોજ માતૃભૂમિની રક્ષા માટે વીરતાપૂર્ણ કાર્ય કરનાર 20માંથી 8 કર્મચારીઓને પીએમજીથી સન્માનિત કરાયા છે. 6 કર્મચારીઓને ફિંગર 4 ક્ષેત્રમાં 18મીના રોજ હિંસક અથડામણ દરમિયાન બહાદુરી પૂર્વકની કામગીરી માટે પીએમજીથી સન્માનિત કરાયા છે જ્યારે બાકીના 6 કર્મચારીને તે દિવસે લદાખમાં હોટ સ્પ્રીંગ પાસે બહાદુરી પૂર્વકની કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
આઈટીબીપીના જવાનોએ ચીન સાથેની અથડામણમાં ખભેથી ખભા મિલાવી લડાઈ લડી હતી. તેઓ ઘાયલ સૈનિકોને પોતાના ખભે નાખીને લઈ ગયા હતા. એટલું જ નહીં આઈટીબીપીના જવાનોએ આખી રાત લડાઈ કર્યા પછી ચીન તરફથી પથ્થરમારો થયો હતો. પીએલએના સૈનિકોને તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. કેટલાક સ્થળે તો સૈનિકોએ અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં 15-16 જૂનની રાત્રિ દરમિયાન 17-20 કલાક સુધી અત્યંત સંકલ્પ શક્તિ સાથે જંગ ખેલ્યો હતો.
છત્તીસગઢમાં નકસલ વિરોધી અભિયાન માટે પણ 3 જવાન સન્માનિત કરાયા
ચીન સાથેની અથડામણમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહીદ થયા હતા. ચીને એવો દાવો કર્યો હતો કે તેના 5 સૈનિકો માર્યા ગયા છે પરંતુ તેની સંખ્યા વધુ હોવાની વ્યાપક સંભાવના જોવાઈ રહી છે. આઈટીબીપીના જવાનોએ બરફીલા હિમાલય ક્ષેત્રમાં ફરજ પર હાજર રહીને મેળવેલી ટ્રેનિંગ અને જીવવાના અનુભવને કારણે ચીનના સૈનિકોને આગળ વધવા દીધા નહોતા અને અનેક મોરચે તેમને પડકાર્યા હતા. એટલું જ નહીં છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાનમાં સાહસ બતાવનાર આઈટીબીપીના 3 જવાનોએ પણ પીએમજીથી સન્માનિત કરાયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.