• Gujarati News
  • National
  • MiG 29K Fighter Aircraft Make First Night Landing On INS Vikrant; Can Attack The Enemy Even In The Dark

ભારતીય નૌસેનાની વધુ એક સિદ્ધિ:મિગ-29K ફાઇટર એરક્રાફ્ટે પહેલીવાર રાત્રે INS વિક્રાંત પર લેન્ડિંગ કર્યું; અંધારામાં પણ દુશ્મન પર હુમલો કરી શકશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય નેવીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. MiG-29Kએ રાતના સમયે અંધારામાં INS વિક્રાંત પર લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું છે કે આ આત્મનિર્ભરતા પ્રત્યે નૌકાદળના ઉત્સાહનો સંકેત છે. ભારતીય નેવીએ આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' તરફનું વધું એક પગલું ગણાવ્યું છે. ભારતીય નૌસેનાએ પ્રથમ નાઇટ લેન્ડિંગનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.

રાતના સમયે એરક્રાફ્ટ કેરિયર પર વિમાનનું લેન્ડિંગ નૌકાદળ માટે પડકારજનક માનવામાં આવે છે, કારણ કે એરક્રાફ્ટ કેરિયર 40-50 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને પાઇલોટ્સે જેટની ઝડપ સાથે ગતિ રાખવી પડે છે.

આ પહેલા તેજસ વિમાનનું નેવલ વર્ઝન INS વિક્રાંત પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. જો કે, આ લેન્ડિંગ દિવસ દરમિયાન જ કરવામાં આવી હતી. આ સિવાય કામોવ 31 હેલિકોપ્ટરને પણ 28 માર્ચે INS વિક્રાંત પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા
મિગ-29Kના લેન્ડિંગ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, 'INS વિક્રાંત પર મિગ-29કેના પ્રથમ નાઈટ લેન્ડિંગનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ હું ભારતીય નૌકાદળને અભિનંદન આપું છું. આ નોંધપાત્ર સિદ્ધિ છે. પાઈલટોની કુશળતા, મક્કમતા અને વ્યાવસાયિકતાની સાક્ષી.'

MiG-29K જેટ INS વિક્રાંતના લડાકૂ કાફલાનો એક ભાગ છે. MiG 29K ફાઈટર એરક્રાફ્ટ એક ખૂબ જ આધુનિક એરક્રાફ્ટ છે, જે કોઈપણ હવામાનમાં ઉડી શકે છે. તે અવાજની બમણી ઝડપે (2000 કિમી પ્રતિ કલાક) ઉડી શકે છે. તે પોતાના વજન કરતા આઠ ગણો વધુ ભાર વહન કરવા સક્ષમ છે. તે 65000 ફૂટની ઉંચાઈ પર ઉડી શકે છે.

INS વિક્રાંત પર કયા પ્રકારના હથિયારો છે
INS વિક્રાંત પરના હથિયારોની વાત કરીએ તો તેમાં બરાક-8 અને બ્રહ્મોસ મિસાઇલ છે. આ સિવાય કોસ્ટલ બેઝ્ડ AK-603 ગન અને ઓટોબ્રેડા કેનન ફીટ કરવામાં આવી છે. તેના પર 32 મિસાઇલો તૈનાત કરી શકાય છે. બરાક 8થી 100 કિમીની રેન્જમાં દુશ્મનના ટુકડા કરી શકે છે. તે ધુમાડા વિના ઉડે છે, તેથી તે આકાશમાં આવતો નથી. તેની સ્પીડ લગભગ 2500 KM પ્રતિ કલાક છે.

INS વિક્રાંત ભારતમાં બનેલું પ્રથમ એરક્રાફ્ટ કેરિયર
INS વિક્રાંત ભારતમાં બનેલ પ્રથમ એરક્રાફ્ટ કેરિયર છે. તે કેરળમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું નામ ભારતના પ્રથમ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના નામ પરથી રાખવામાં આવ્યું હતું. 45000 ટનની INS વિક્રાંત 20000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેને નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું.