દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશનાં અનેક રાજ્યોમાં H3N2 વાઈરસનું જોખમ વધી ગયું છે. આ વાઇરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાં છે. જ્યારે, આ વાઈરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂ અને H3N2ના કુલ 352 કેસ નોંધાયા છે. આમાં H3N2થી પીડિત દર્દીઓની સંખ્યા 58 છે. BMC અનુસાર, મુંબઈમાં 32 દર્દીઓ દાખલ છે, જેમાંથી 4 દર્દીઓ H3N2 અને 28 H1N1 દર્દીઓ છે. આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે.
રાજ્યમાં ઈન્ફ્લ્યૂએન્ઝા H3N2ના જોખમને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદે આજે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરશે.
આગળ વધતા પહેલાં, વાઈરસ સંબંધિત અત્યાર સુધીના અપડેટ્સ જુઓ...
મહારાષ્ટ્રમાં વાઈરસના કારણે બે લોકોનાં મોતનો દાવો, હોસ્પિટલોમાં એલર્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રમાં આ વાઈરસને કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયાં છે. તેમાંથી અહેમદનગરમાં મેડિકલનો અભ્યાસ કરતો યુવક ગયા અઠવાડિયે મિત્રો સાથે ફરવા માટે અલીબાગ ગયો હતો. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમની તબિયત બગડી હતી.
રાજ્યના આરોગ્ય મંત્રી તાનાજી સાવંતે કહ્યું કે H3N2 વાઈરસથી સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે અને હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે H3N2 વાઈરસ જીવલેણ નથી અને સારવાર દ્વારા આ બીમારીથી સાજા થઈ શકાય છે, તેથી ગભરાવાની જરૂર નથી.
ઈન્ફ્લ્યૂએન્ઝાના 79% સેમ્પલમાંથી મળ્યો H3N2 વાઇરસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે લેબમાં ટેસ્ટ કરવામાં આવેલ ઈન્ફ્લ્યૂએન્ઝાના સેમ્પલમાંથી લગભગ 79%માં H3N2 વાઈરસ મળી આવ્યો છે. ત્યારબાદ 14% સેમ્પલમાં ઈન્ફ્લ્યૂએન્ઝા બી વિક્ટોરિયા વાઈરસ મળી આવ્યો છે અને 7%માં ઈન્ફ્લ્યૂએન્ઝા એ H1N1 વાઈરસ મળ્યો છે. H1N1 વાઈરસને સામાન્ય ભાષામાં સ્વાઈન ફ્લૂ પણ કહેવામાં આવે છે. મંત્રાલયનું કહેવું છે કે માર્ચ એન્ડિંગથી H3N2ના કેસમાં ઘટાડો થવા લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.